![Two people killed in two hit and run incidents in Rajkot](https://bombaysamachar.com/wp-content/uploads/2023/10/Road-Accidents.webp)
જયપુર: રાજસ્થાનના અજમેર શહેરમાં 16 ડિસેમ્બરના મોડી રાત્રે ઝનાના રોડ પર એક ગમખ્વાર માર્ગ અકસ્માત થયો હતો, જેમાં બે લોકો જીવતા સળગીને મૃત્યુ પામ્યા હતા. દિલ્હીની નંબર પ્લેટ વળી એક કાર અચાનક ડિવાઈડર સાથે અથડાઈ અને કારમાં આગ લાગી ગઈ હતી. આ આગ એટલી ભયાનક હતી કે આગમાં કારની અંદર બે મુસાફરો જીવતા ભડથું થઈ ગયા હતા જ્યારે એકનું હોસ્પિટલ પહોંચતા પહેલા જ મોત થયું હતું. જોકે સ્થાનિક લોકોએ માંડ માંડ બે મુસાફરોને બચાવ્યા હતા, જેઓ હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
આ અકસ્માત રાત્રે 11.30 વાગ્યાની આસપાસ થયો હતો. કારમાં આગ લાગવાની જાણ થતાં ઘટનાસ્થળે પહોંચેલી ફાયર બ્રિગેડની ગાડીએ તાત્કાલિક આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ ત્યાં સુધી કારમાં સવાર બે યુવકો જીવતા સળગી ગયા હતા. અકસ્માતની માહિતી મળતાં જ સ્થાનિક પોલીસ પહોંચી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા તેમજ ઘાયલને સારવાર માટે મોકલ્યા હતા.
નોંધનીય છે કે કારમાં ગેસ કીટ લગાવવામાં આવેલી હતી. ક્રિશ્ચિયનગંજ પોલીસ સ્ટેશનના પ્રભારીના જણાવ્યા અનુસાર ત્રણેય મૃતકોની ઓળખ ચૌરસિયાવાસના રહેવાસી સોહેલ ખાન, વૈશાલી નગરના રહેવાસી જય સાંખલા, કબીર નગરના રહેવાસી શક્તિ સિંહ તરીકે થઈ છે. તેમાંથી કબીર સિંહ અને જય સાંખલા કારમાં જ જીવતા સળગી ગયા હતા, જ્યારે સોહેલ ખાનનું હોસ્પિટલમાં લઈ જતી વખતે મૃત્યુ થયું હતું. બળી ગયેલા બે લોકો લોહાખાનના રહેવાસી કૃષ્ણ મુરારી અને ગુર્જર ધરતીના રહેવાસી ઉમેશ કુમાર છે. ઉમેશ કુમારની સ્થિતિ ગંભીર હોવાના કારણે જયપુર રિફર કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે જ્યારે કારનો અકસ્માત થયો તે સમયે એક સ્થાનિક ત્યાંથી પોતાની બાઈક લઈને નીકળતો હતો તેને કારમાં આજ લાગેલી જોઈ એટલે બાઈક પાર્ક કરી મદદે પહોંચ્યો અને અન્ય લોકોને પણ બોલાવી આવ્યો. તેમજ પોલીસ અને ફાયર બ્રિગેડને પણ જાણ કરતું. જોકે તેમને પાંચમાં થી બે મુસાફરો ને બચાવી લીધા જ્યારે બે મુસાફરો જીવતા સળગી ગયા અને એકને હોસ્પિટલ પહોચાડતા રસ્તામાં જ મૃત્યુ થયું હતું.