
નવી દિલ્હીઃ નાગાલેન્ડમાં અજિત પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીને મોટો ઝટકો લાગ્યો હતો. પક્ષના સાત ધારાસભ્યો સત્તારૂઢ નેશનલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી (એનડીપીપી)માં સામેલ થઈ ગયા હતા. જેથી મુખ્ય પ્રધાન નેફ્યૂ રિયોના નેતૃત્વવાળી પાર્ટીના 60 સભ્યોવાળી વિધાનસભામાં પૂર્ણ બહુમત મળ્યો હતો. આ વિલયની સાથે જ નેશનલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટીના ધારાસભ્યોની સંખ્યા 25થી વધીને 32 થઈ હતી.
શરદ પવારની પાર્ટી એનસીપીના ભાગલા બાદ નાગાલેન્ડના યુનિટે અજિત પવારના નેતૃત્વ હેઠળના જૂથનો સાથ આપ્યો હતો. 2023 વિધાનસભા ચૂંટણીમાં એનડીપીપી અને તેના સહયોગી ભાજપ બાદ એનસીપી રાજ્યમાં ત્રીજો સૌથી મોટો પક્ષ બનીને સામે આવ્યો હતો. 12 સીટ જીતી હતી.

વિધાનસભા અધ્યક્ષ શારિંગૈન લોંગકુમેર દ્વારા જાહેર કરવામાં આવેલા આદેશ અનુસાર, સાત ધારાસભ્યોએ ખુદ હાજર રહીને તેમને ઔપચારિક પત્ર સોંપ્યો હતો. જેમાં તેઓ એનડીપીપીમાં ભળી જવા માંગતા હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, આ વિલય બંધારણની 10મી કલમ અંતર્ગત બંધારણીય જરૂરિયાતને પૂર્ણ કરે છે.
રાજ્ય સરકારના પ્રધાન જી કેન્યએ કહ્યું, 7 એનસીપી ધારાસભ્યોએ વિધાનસભા અધ્યક્ષને તેમનો વિલય પત્ર સોંપ્યો હતો. જેનો સ્વીકાર કરી લેવામાં આવ્યો હતો. ઉપરાંત 14મી નાગાલેન્ડ વિધાનસભામાં એનડીપીપીના સભ્યોની સંખ્યા 25થી વધીને 32 થઈ છે. આ ઘટનાક્રમથી અમારા મુખ્ય પ્રધાન અને સરકારના કામકાજને મજબૂતી મળશે. વિલયથી સત્તારૂઢ ગઠબંધનની અંદર સીટ ફાળવણીની વ્યવસ્થા પર શું અસર પડશે તેમ પૂછવામાં આવતાં તેમણે કહ્યું, કોઈ કાયમી ફોર્મુલા નથી.
રાજ્યમાં એનડીપીપીના 32, ભાજપના 12 ધારાસભ્યો ઉપરાંત રાજ્ય વિધાનસભામાં એનપીપીના 5, એલજીપી (રામવિલાસ), નગા પીપુલ્સ ફ્રંટ અને આરપીઆઈ (આઠવલે)ના બે-બે સભ્ય, જેડી(યુ)ના એક અને ચાર અપક્ષ ધારાસભ્ય છે.