પ્રફુલ પટેલની PM મોદી અને અમિત શાહ સાથે બેઠક: NCPના રાષ્ટ્રીય અધ્યક્ષની રેસમાં હોવા અંગે શું કહ્યું?

નવી દિલ્હી/મુંબઈઃ અજિત પવારના અવસાન બાદ રાજ્યમાં રાજકીય ગતિવિધિઓએ વેગ પકડ્યો છે. અજિત પવારનાં પત્ની સુનેત્રા પવારે નાયબ મુખ્ય પ્રધાન પદના શપથ લીધા બાદ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ બનશે તે અંગે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. વિવિધ નેતાઓના નામની ચર્ચા થઈ રહી છે ત્યારે પાર્ટીના વરિષ્ઠ સાંસદ પ્રફુલ પટેલ દિલ્હીમાં પીએમ મોદી અને અમિત શાહ સાથે બેઠક કરી હોવાના અહેવાલ છે.
એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે સાંસદ પ્રફુલ પટેલ રાષ્ટ્રીય અધ્યક્ષ બનશે, પરંતુ બાદમાં તેમણે પોતે જ આ સમાચારને નકારી કાઢ્યા હતા અને સ્પષ્ટતા કરી હતી કે તેઓ રાષ્ટ્રીય અધ્યક્ષ પદની રેસમાં નથી. ત્યાર બાદ હવે સમાચાર સામે આવ્યા છે કે પટેલે દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરી હતી.
આ પણ વાચો : મુંબઈમાં રાજકીય ગરમાવો: CM ફડણવીસ અને પ્રફુલ પટેલ વચ્ચે દોઢ કલાક ચાલી બેઠક, જાણો શું થઈ ચર્ચા?
જોકે આ મુલાકાતમાં પટેલે તેમને રાજ્યની રાજકીય પરિસ્થિતિ વિશે માહિતી આપી હતી. ઉપરાંત તેમણે સુનેત્રા પવારના શપથગ્રહણ સમારોહ અંગે ચર્ચા કરી હોવાનું પણ બહાર આવ્યું છે. અજિત પવારના અવસાન પછી, હાલમાં રાજ્યમાં બંને રાષ્ટ્રવાદી પક્ષો એક સાથે આવવાની ચર્ચા ચાલી રહી છે.
એવું જાણવા મળ્યું હતું કે પ્રફુલ પટેલ, વડા પ્રધાન મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ વચ્ચે આ અંગે ચર્ચા થઈ હતી. એવું પણ જાણવા મળ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહે અજિત પવારના અંતિમસંસ્કાર પછી સુનેત્રા પવારને દિલ્હી લાવવા માટે પટેલને આમંત્રણ આપ્યું હતું.
આ પણ વાચો : એનસીપીના નેતા પ્રફુલ પટેલે ઈશારા ઈશારામાં આ શું કહ્યું, ચૂંટણીમાં પૈસાની જરુરિયાત પણ…
વધુમાં એનસીપીના વિલીનીકરણ પર બોલતા પ્રફુલ પટેલે કહ્યું કે અજિતદાદાએ મારી સાથે વિલીનીકરણ અંગે ચર્ચા કરી નથી. એવું ન બની શકે કે વિલીનીકરણ થવાનું હોય અને અમને ખબર ન હોય.
અજિતદાદાએ કહ્યું હતું કે આપણે બધા અલગ-અલગ લડી રહ્યા છીએ; જો આપણા મતો વહેંચાઈ જાય તો પરિણામ પર અસર પડી શકે છે. તેથી, શરદ પવાર જૂથ સાથે વાત કરીને સમન્વય સાધીશું એવું અજિતદાદાએ કહ્યું હતું. બસ આટલી જ ચર્ચા થઈ હોવાનું કહીને પ્રફુલ પટેલે વિલીનીકરણની અફવાઓને ફગાવી દીધી હતી.



