નેશનલ

ભારત-તુર્કી તણાવની હવાઈ સેવાઓ પર અસર: અમદાવાદ-બાકુ સીધી ફ્લાઈટ્સ પર ગ્રહણ, પ્રવાસીઓ મુંઝવણમાં

અમદાવાદ: ભારત અને પાકિસ્તાન વચ્ચેના તાજેતરના સંબંધોમાં તુર્કી અને અઝરબૈજાન દ્વારા પાકિસ્તાનને ખુલ્લો ટેકો મળ્યા બાદ, રાજકીય તણાવની સીધી અસર આંતરરાષ્ટ્રીય હવાઈ સેવાઓ પર જોવા મળી રહી છે. ખાસ કરીને, જુલાઈ 2025થી અમદાવાદ (Ahmedabad) અને બાકુ (Baku) વચ્ચે શરૂ થનારી સીધી ફ્લાઇટ્સ (Flights) હાલ પ્રશ્નાર્થચિહ્નમાં મુકાઈ ગઈ છે, જેનાથી ગુજરાતના પ્રવાસીઓમાં મુંઝવણ પ્રવર્તી રહી છે.

અઝરબૈજાન એરલાઇન્સ (AZAL) દ્વારા 25 એપ્રિલે અમદાવાદથી બાકુ માટે સીધી ફ્લાઈટ્સ 4 જુલાઈથી શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી, જે અઠવાડિયામાં ચાર વખત ઓપરેટ થવાની હતી. દિલ્હી અને મુંબઈ બાદ ભારતમાં આ એરલાઇનનું ત્રીજું ગંતવ્ય સ્થાન બનવાનું હતું. જોકે, વર્તમાન પરિસ્થિતિ જોતા, આ યોજના હાલ સ્થગિત થઈ હોવાનું જણાઈ રહ્યું છે.

મુસાફરોને ‘ફ્લાઈટ અવેલેબલ નથી’નો જવાબ

મુસાફરોને AZALની સત્તાવાર વેબસાઇટ પર અથવા પૂછપરછના ઈમેલ દ્વારા “કોઈ ફ્લાઇટ ઉપલબ્ધ નથી” (No flight available) નો જવાબ મળી રહ્યો છે. ટ્રાવેલ વેબસાઇટ્સ જેમ કે MakeMyTrip પર પણ અમદાવાદથી સીધી બાકુની કોઈ ફ્લાઇટ જોવા મળતી નથી. હાલમાં, ફક્ત દિલ્હી થઈને જ બાકુ જતી ફ્લાઇટ્સ બુક થઈ રહી છે, જે દર્શાવે છે કે સીધો રૂટ હાલ અટકાવવામાં આવ્યો છે.

ટૂર ઓપરેટરોને પણ ‘પ્રમોટ ન કરવા’ના આદેશ

અમદાવાદના ટૂર ઓપરેટરોએ આ અંગે વાતચીત કરતાં જણાવ્યું હતું કે તેમને અઝરબૈજાન અને તુર્કી જેવા ડેસ્ટિનેશન્સને પ્રમોટ ન કરવા અને ક્લાયન્ટ્સ માટે બુકિંગ પણ ન કરવા માટે ઓફિશિયલ લેટર મળ્યા છે. ટૂર ઓપરેટરોનું કહેવું છે કે, લોકો પણ પાકિસ્તાનને આ બંને દેશોના સમર્થનને કારણે ત્યાં જવાનું ટાળી રહ્યા છે.

આગામી છ મહિના સુધી અઝરબૈજાન અને તુર્કી માટે કોઈ ડાયરેક્ટ ફ્લાઇટ ઓપરેટ થવાની શક્યતા નથી અને ટૂર ઓપરેટરો પણ ત્યાંના બુકિંગની વ્યવસ્થા નહીં કરે. હાલમાં, લોકો સિંગાપોર, મલેશિયા, થાઇલેન્ડ, બાલી, સ્વિટ્ઝર્લેન્ડ, પેરિસ, ઇટાલી અને વિયેતનામ જેવા દેશોમાં વેકેશન માણવાનું વધુ પસંદ કરી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button