
નવી દિલ્હી: દેશભરમાં ઇન્ડિગોની ફ્લાઇટ્સમાં ટેક્નિકલ અને ઓપરેશનલ ખામીઓના કારણે થયેલી ભારે અડચણો બાદ હજારો એરપોર્ટ પર ફસાયેલા મુસાફરોની મુશ્કેલીઓનો અંત આવવાનું નામ નહોતું લેતો. ફ્લાઇટ કેન્સલેશન અને રી-શેડ્યુલિંગના કારણે ટિકિટના ભાવો આસમાને પહોંચી ગયા હતા, જેનાથી મુસાફરીની યોજનાઓ ખોરવાઈ ગઈ હતી.
આવા કટોકટીના સમયમાં ટાટા ગ્રૂપની એરલાઇન એર ઇન્ડિયા મુસાફરો માટે એક મોટી રાહત લઈને આવી છે. કંપનીએ જાહેરાત કરી છે કે હવે મુસાફરો તેમની ટિકિટ સંપૂર્ણ રિફંડ સાથે, કોઈપણ વધારાના ચાર્જ વિના, રી-શેડ્યુલ અથવા રદ કરી શકશે.
ઇન્ડિગોની ગરબડોએ સમગ્ર ઉડ્ડયન ક્ષેત્રમાં મોટી ઉથલપાથલ મચાવી દીધી હતી અને વધતી માંગને કારણે એરફેરમાં અનિયંત્રિત વધારો થયો હતો. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, એર ઇન્ડિયાએ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. એર ઇન્ડિયા અને તેની પેટાકંપની એર ઇન્ડિયા એક્સપ્રેસએ 4 ડિસેમ્બરથી શરૂ થતી તમામ નોન-સ્ટોપ ડોમેસ્ટિક ફ્લાઇટ્સ પર ઇકોનોમી ક્લાસના ભાડાંને કેપ (મર્યાદા) કર્યા છે.
આનો અર્થ એ છે કે ઇન્ડિગોના સંકટને કારણે અચાનક વધેલી માંગ-પુરવઠાની કિંમત નિર્ધારણ હવે લાગુ થશે નહીં. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે શનિવારે સ્પષ્ટ કર્યું હતું કે કોઈપણ પ્રકારની ઓવરપ્રાઇસિંગ સહન કરવામાં આવશે નહીં, અને એર ઇન્ડિયાનો આ નિર્ણય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નવા એરફેયર કેપ નિયમોનું પાલન કરે છે.
આ પણ વાંચો…દેશના 11 એરપોર્ટ પર 570 ઈન્ડિગોની ફ્લાઈટ્સ રદ, સરકારે લગાવ્યો ફેયર કેપ…



