ટેકઓફ પહેલા પાઇલટે રનવે પર ફલાઇટ રોકી, પ્રવાસીઓનાં જીવ બચ્યા, જાણો ક્યાં બની ઘટના?

હૈદરાબાદ: 20 જૂન, 2025ના રોજ તેલંગણાના હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર એર ઈન્ડિયાનું વિમાન મુંબઈ જવા નીકળતું હતું ત્યારે મોટી દુર્ઘટના ટળી હતી. ઉલ્લેખનીય છે કે ટેકનિકલ ખામીઓને જણાતા પાયલટે ટેકઓફ પહેલાં વિમાન રોકી દીધું હતું, જેનાથી મુસાફરોનો જીવ બચી ગયો.
હૈદરાબાદથી મુંબઈ જતી એર ઈન્ડિયા વિમાનમાં ટેકનિકલ ખામી જણાતાં પાયલટે રનવે પર જ વિમાન રોકી દીધું. પાયલોટની સમયસૂચકતાને કારણે ફરી એક વખત મોટી દુર્ઘટના થતા અટકી હતી. એર ઈન્ડિયાની ફ્લાઈટો છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહી છે. તમામ મુસાફરો સુરક્ષિત રહ્યા. એક ઈન્ડિયાએ તમામ મુસાફરો માટે વૈકલ્પિક ફ્લાઈટની વ્યવસ્થા કરી હતી. આ ઘટના બાદ એર ઈન્ડિયાએ વિમાનની તપાસ શરૂ કરી છે, જેથી ખામીનું ચોક્કસ કારણ જાણી શકાય.
અમદાવાદની દુર્ઘટના
12 જૂન, 2025ના રોજ અમદાવાદથી લંડન જતું એર ઈન્ડિયા વિમાન AI-171 દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ વિમાન બીજે મેડિકલ કોલેજની ઇમારત સાથે અથડાયું, જેમાં 241 મુસાફરો અને 22 સ્થાનિક લોકોના મોત થયા. ડીએનએ પરીક્ષણ દ્વારા 231 મૃતદેહોની ઓળખ થઈ, અને 210 મૃતદેહો પરિવારજનોને સોંપાયા. આ દુર્ઘટનામાં એકમાત્ર બ્રિટિશ નાગરિક વિશ્વાસકુમાર રમેશ જીવતા બચ્યો હતો.
એર ઈન્ડિયાના નિર્ણયો
અમદાવાદની ઘટના બાદ એર ઈન્ડિયાએ સુરક્ષા ચકાસણી વધારી છે. 19 જૂનના રોજ એરલાઈને જાહેર કર્યું કે 21 જૂનથી 15 જુલાઈ સુધી દર અઠવાડિયે 38 આંતરરાષ્ટ્રીય ઉડાનો ઘટાડશે અને ત્રણ વિદેશી રૂટ પર સેવાઓ સ્થગિત કરશે. આ ઉપરાંત 12 જૂનથી 20 જૂન, 2025 સુધી એર ઈન્ડિયાએ કુલ 83 ફ્લાઈટ્સ રદ્દ કરી હતી, જેમાંથી 66 ફ્લાઈટ્સ બોઈંગ 787 ડ્રીમલાઈનરની હતી. આ માહિતી ભારતના નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલય (DGCA) દ્વારા જણાવવામાં આવી હતી. આ રદ્દ ફ્લાઈટ્સમાં આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બંને ઉડાનોનો સમાવેશ થાય છે, જે મુખ્યત્વે 12 જૂનના અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ વધેલી સુરક્ષા તપાસ અને જાળવણીના કારણોસર રદ્દ કરવામાં આવી હતી.