મોતનો મલાજો પણ નહીં જળવાય? મણિપુરમાં એર હોસ્ટેસના અંતિમ સંસ્કાર પણ મુશ્કેલ બન્યા…

ઇમ્ફાલ: 12 જુન 2025ના રોજ અમદાવાદમાં ક્રેશ થયેલી એર ઇન્ડિયા ફ્લાઈટ AI 171માં 230 મુસાફરો, 2 પાઈલોટ અને 10 કેબિન ક્રૂ મેમ્બર્સના મોત નીપજ્યા (Ahmedabad Plane crash) હતાં. મૃતક કેબિન ક્રૂમાં મણિપુરની બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે. અમદાવાદમાં અધિકારીઓ બંને મહિલાઓના મૃતદેહને ઓળખવા અને મણિપુર (Manipur) મોકલવા માટે કામ કરી રહ્યા છે, ત્યારે મણિપુરમાં મૃતદેહોની અંતિમ વિધિ મામલે ચિંતા વધી રહી છે. વંશીય હિંસામાં સપડાયેલા રાજ્યમાં સ્થાનિક વહીવટીતંત્ર, પોલીસ અને મેઈતેઈ અને કુકી નેતાઓ વચ્ચે વાતચીત ચાલી રહી છે.
મૃતક કેબિન ક્રૂમાંથી એક નગાન્થોઈ કે શર્મા મેઈતેઈ (Nganthoi K Sharma) સમુદાયની હતી, જ્યારે બીજી યુવતી લેમ્નુન્થિમ સિંગસન (Lamnunthiem Singson) કુકી-ઝો સમુદાયની હતી. મણીપુરમાં મેઈતેઈ અને કુકી સમુદાયો વચ્ચે ચાલી રહેલી વંશીય હિંસા અને રાજકીય આરાજકતાને કારણે મૃત દેહોની અંતિમવિધિ અંગે વિવાદ ઉભો થવાની શક્યતા છે.

રાજ્યમાં બે સમુદાયો વચ્ચે દુશ્મનાવટ:
મે 2023 થી રાજ્યમાં શરુ થયેલા વંશીય સંઘર્ષને કારણે 260 લોકો માર્યા ગયા છે અને અંદાજે 50,000 લોકો વિસ્થાપિત થયા છે, રાજ્યના મુખ્ય પ્રધાને રાજીનામું આપ્યા બાદ હાલ રાષ્ટ્રપતિ સાશન લાગુ છે. કુકી-ઝો સમુદાયના લોકો ઇમ્ફાલ અને તેની આસપાસના વિસ્તારો છોડીને ટેકરીઓ તરફ પલાયન કરવા મજબૂર બન્યા છે, જ્યારે મેઇતેઇ સમુદાયને લોકોએ ઇમ્ફાલ અને આજુબાજુનમાં વિસ્તારોમાં પકડ બનાવી છે. સ્થાનિક પોલીસ ઉપરાંત રાજ્યમાં મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત છે, છતાં હિંસા કાબુમાં આવી શકી નથી. બંને સમુદાયના લોકો એક બીજાના વિસ્તારમાં સુરક્ષિત પ્રવેશી શકતા નથી.
લેમ્નુન્થિમ સિંગસનનો મૃતદેહ ઇમ્ફાલ પહોંચશે?
મણિપુરમાં હાલ એ ચર્ચા ચાલી રહી છે કે લેમ્નુન્થિમ સિંગસનના મૃતદેહને ઇમ્ફાલ લઇ જવામાં આવે કે નહીં, કારણ કે કુકી-ઝો ઇમ્ફાલમાં પ્રવેશી શકતા નથી. સુરક્ષાની ખાતરી કરવા માટે, ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને સરકારી અધિકારીઓએ તેના પરિવાર સાથે વાત કરી રહ્યા છે અને જો તેઓ ઇમ્ફાલ એરપોર્ટ પર મૃતદેહ લેવા આવવા ઈચ્છતા હોય તો ઇમ્ફાલથી કાંગપોકપી સુધી સુરક્ષા કાફલાનું આયોજન કરવામાં આવશે
લેમ્નુન્થિમ સિંગસનનો પરિવાર ઇમ્ફાલના ન્યૂ લેમ્બુલેન વિસ્તારમાં રહેતો હતો, પરંતુ સંઘર્ષ ફાટી નીકળ્યા પછી કાંગપોપકીના પહાડી જિલ્લામાં પલાયન કરવા મજબૂર બન્યો હતો. સિંગસનના પરિવારે જણાવ્યું કે અમદાવાદના અધિકારીઓ મૃતદેહો મોકલવા માટે તૈયાર થશે ત્યારે શું કરવું તે અંગે નિર્ણય લેશે.
કુકી-ઝો સમુદાયને ડર:
પરિવારને મદદ કરી રહેલા કુકી સ્ટુડન્ટ્સ ઓર્ગેનાઇઝેશન, કાંગપોક્પી યુનિટના જનરલ સેક્રેટરી કે શોંગરેંગે જણાવ્યું હતું કે, “કુકી-ઝો લોકો માટે ઇમ્ફાલ જવું સલામત નથી. બધા જાણે છે કે છેલ્લા બે વર્ષમાં ત્યાં અમારા લોકો સાથે શું બન્યું છે. KSO પરિવારને શક્ય તેટલી બધી રીતે મદદ કરી રહ્યું છે, પરિવાર પર નિર્ભર છે કે તેઓ તેમના પ્રિયજનના મૃતદેહને કેવી રીતે ઘરે લાવવા માંગે છે.”

મેઇતેઈ જૂથની અપીલ:
ઇમ્ફાલના સૌથી પ્રભાવશાળી મેઇતેઈ જૂથોમાના એક COCOMI એ સોમવારે સમાજના તમામ વર્ગોને એક થવા અને મણિપુરમાં મૃતદેહોનું સન્માનપૂર્વક પરત ફરવાની ખાતરી કરવા વિનંતી કરી. COCOMI ના કન્વીનર ખુરૈજામ અથૌબાએ જણાવ્યું હતું કે, “અમે સમાજના તમામ વર્ગો, સ્થાનિક ક્લબો, જૂથો અને સંસ્થાઓને સંપૂર્ણ સહયોગ આપવા અપીલ કરી છે.”
વહીવટીતંત્રના પ્રયાસ:
મણિપુર વહીવટીતંત્રએ અખબારી નિવેદનમાં જણાવ્યું હતું કે તે એર ઇન્ડિયા અને ટાટા ગ્રુપના સંપર્કમાં છે, અને તેમને ખાતરી આપી છે કે તે ઇમ્ફાલ એરપોર્ટ પર બંને મૃતદેહોને સ્વીકારવા માટે તૈયારી કરવામાં આવી છે. વિધિ અંગેનો અંતિમ નિર્ણય શોકગ્રસ્ત પરિવારો પર છોડી દેવામાં આવ્યો છે. રાજ્ય તેમની ઇચ્છા મુજબ તમામ જરૂરી સહાય પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે.

નિવેદનમાં મણિપુરના મુખ્ય સચિવ પીકે સિંહે કહ્યું , “તેમના નામો ગૌરવ અને આદર સાથે લેવામાં આવે અને ત્યારબાદ તેમને સુરક્ષિત રીતે તેમના ઘરે પહોંચાડવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે.”
મણિપુર પોલીસ વડા રાજીવ સિંહ સહિત વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ સોમવારે પરિવાર સાથે ફોન પર વાત કરી હતી અને તેમને ઇમ્ફાલ એરપોર્ટથી પરિવહન કરવા માટે પૂરતી સુરક્ષાની ખાતરી આપી હતી.
આપણ વાંચો : જાણો DGCAની બેઠકમાં ક્યા મુદ્દા પર ચર્ચા કરવામાં આવી?