આગ્રામાં દુર્ગા વિસર્જન દરમિયાન ઉંટગન નદીમાં અકસ્માત, ત્રણ લોકોના મોત

આગ્રા : ઉત્તર પ્રદેશના આગ્રામાં ખેરાગઠ નજીક દુર્ગા વિસર્જન દરમિયાન ઉંટગન નદીમાં અકસ્માત સર્જાયો હતો. જેમાં ગુરુવારે બપોરે દુર્ગા વિસર્જન દરમિયાન 13 યુવકો પાણીમાં ડૂબી ગયા હતા. જેમાંથી ત્રણ લોકોના મોત થયા છે. જયારે અન્ય યુવકોની શોધખોળ ચાલુ છે.
દુર્ઘટનાના લીધે ગામમાં શોકનો માહોલ
આ દુર્ઘટના બાદ કલેકટર અરવિંદ મલપ્પા અને ડીસીપી પશ્ચિમ ઝોન અતુલ શર્મા પણ પોલીસકર્મીઓ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમજ બચાવ અને રાહત કામગીરી શરુ કરવામાં આવી હતી. જેમાં ઘાયલ લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ દુર્ઘટનાના લીધે ગામમાં શોકનો માહોલ છે.
મૂર્તિ વિસર્જન માટે 40 થી વધુ લોકો એકત્ર થયા હતા
આ અંગે મળતી માહિતી આ દુર્ઘટના ગુરુવારે બપોરે એક કલાકની આસપાસ બની હતી. જેમાં કુસીયાપુરના ચામડ માતાના મંદિર પાસે નવરાત્રી દરમિયાન દુર્ગા માતાની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી હતી. જયારે દશેરાને મૂર્તિ વિસર્જન માટે ગામના 40 થી વધુ લોકો એકત્ર થયા હતા. જેમાં 13 લોકો નદીના પાણીમાં ડૂબી ગયા હતા.
વિષ્ણુ નામના યુવકને બચાવી લીધો
આ અંગે સ્થાનિક ગ્રામીણોએ જણાવ્યું હતું કે, લોકો અચાનક ડૂબવા લાગ્યા હતા. તેમજ સ્થળ પર બચાવ માટે કોઈ સાધન નહોતા. જયારે કેટલાક ગ્રામીઓએ વિષ્ણુ નામના યુવકને બચાવી લીધો હતો. જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
આપણ વાંચો: કટ્ટર વિરોધી AAP નેતા સૌરભ ભારદ્વાજ PM મોદીની સરકારની કઈ વાતથી ખુશ થયા? જાણો વિગત