
નવી દિલ્હી: ભારતીય અંતરિક્ષયાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)થી 15 જુલાઈના રોજ પૃથ્વી પર ફર્યા હતા. 18 દિવસની આ યાત્રા બાદ તેઓ પોતાના પરિવારને મળ્યા હતા. જેના ફોટા હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. તેમણે બે મહિના બાદ પરિવાર મળવાનો અનુભવ શેર કરતા લખ્યું હતું કે, અવકાશ ઉડાનનો અનુભવ અદ્ભુત છે પણ લાંબા સમય પછી પરિવારને જોવો એ પણ એટલો જ અદ્ભુત અને સુખદ અનુભવ છે.
શુભાંશુએ 18 દિવસની ISS યાત્રા પૂર્ણ કરી, પ્રશાંત મહાસાગરમાં સ્પ્લેશડાઉન કર્યું અને હ્યુસ્ટનની ખાસ સુવિધા કેન્દ્રમાં પરિવાર સાથે મુલાકાત કરી હતી. મેડિકલ ટેસ્ટ બાદ તેમણે પત્ની કામના અને ચાર વર્ષના પુત્રને વ્હાલ કર્યો હતો. ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસવીરોમાં પત્નીની આંખોમાં આંસુ જોવા મળ્યા. તેમણે પોસ્ટના કેપ્સનમાં લખ્યું કે, યાત્રા પહેલા બે મહિના સુધી હું ક્વોરેન્ટાઈન હતો. જે સમય દરમિયાન બાળકોને પણ મારી નજીક આવવાની છૂટ ન હતી. જે મારા માટે પડકારજનક હતું.
અંતરિક્ષમાં ઐતિહાસિક સફળતા
શુભાંશુ શુક્લા ISS પર પહોંચનારા પ્રથમ ભારતીય અને 1984માં રાકેશ શર્મા બાદ અંતરિક્ષમાં જનારા બીજા ભારતીય બન્યા. 25 જૂન, 2025ના રોજ ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી સ્પેસએક્સના ફાલ્કન 9 રોકેટ દ્વારા તેમને અંતરિક્ષ યાત્રા શરૂ કરી હતી. ISS પર 18 દિવસ દરમિયાન તેમણે 60થી વધુ વૈજ્ઞાનિક પ્રયોગો કર્યા, જેમાં જીવવિજ્ઞાન, સામગ્રી વિજ્ઞાન અને AIનો સમાવેશ થાય છે.
શુભાંશુના ‘સ્પ્રાઉટ્સ પ્રોજેક્ટ’એ માઇક્રોગ્રેવિટીમાં છોડની વૃદ્ધિનો અભ્યાસ કર્યો, જે અંતરિક્ષમાં ટકાઉ ખેતી માટે મહત્વપૂર્ણ છે. તેમણે લખ્યું, “અંતરિક્ષ મિશન જાદુઈ હોય છે, પરંતુ પરિવારનું મહત્વ અનન્ય છે. પ્રિયજનોને પ્રેમ વ્યક્ત કરો.” આ ભાવનાત્મક સંદેશે દેશભરમાં લોકોને પ્રેરણા આપી.
આ પણ વાંચો…શુભાંશુ શુક્લા આ તરીખે ભારત આવશે; હાલ પોસ્ટ-મિશન પ્રક્રિયાઓમાંથી પસાર થઈ રહ્યા છે