Navneet Ranaના 15 સેકન્ડવાળા નિવેદન બાદ AIMIMના નેતાએ કહ્યું કે…

અમરાવતીઃ મહારાષ્ટ્રના અમરાવતીથી સાંસદ નવનીત રાણા ભાજપનાં ઉમેદવાર માધવી લતાના સમર્થનમાં પ્રચાર કરવા હૈદરાબાદ પહોંચ્યા હતા. આ દરમિયાન તેણે પોતાના નિવેદનથી નવો વિવાદ ઉભો કર્યો છે. હવે ઓવૈસી ભાઈઓને નવનીત રાણાની ચેલેન્જ પર AIMIMની પ્રતિક્રિયા સામે આવી છે.
AIMIMના નેતા વારિસ પઠાણે કહ્યું, તેઓ 15 સેકન્ડ માટે પોલીસને હટાવીને શું કરશે, શું તેઓ બધા મુસ્લિમોને મારી નાખશે? પોલીસ પ્રશાસન શું કરી રહ્યું છે, અત્યાર સુધી કેમ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી, ચૂંટણી પંચ શું કરી રહ્યું છે? નિવેદનની નોંધ લો અને રાણા સામે કડક પગલાં લો. તેણે એમ પણ કહ્યું કે અમે બધા મુસ્લિમોને મારી નાખીશું, તેમનો કત્લેઆમ કરીશું, શું ચૂંટણી દરમિયાન આ નિવેદનની મંજૂરી છે? જો વારિસ પઠાણે આ શબ્દો ઉચ્ચાર્યા હોત, તો અત્યાર સુધીમાં આકાશ પડી ગયું હોત, મારી વિરુદ્ધ એફઆઈઆર નોંધાઈ હોત, હું જેલમાં નાખ્યો હોત, હવે બધા ચૂપ કેમ બેઠા છે.
તેમણે એવો દાવો પણ કર્યો કે ભાજપ આ વખતે 200થી 250 બેઠક પણ નહીં લાવી શકે અને નવનીત રાણા અમરાવતીથી હારવાની છે, તેની તેમને જાણ થઈ ગઈ છે આથી આવા ધર્મોમાં ભેદભાવ કરતા અને નફરત
નવનીત રાણાએ તેમના એક નિવેદનમાં કહ્યું, 15 સેકન્ડ માટે પોલીસને હટાવો, ઓવૈસી ભાઈઓને ખબર નહીં પડે કે તેઓ ક્યાંથી આવ્યા અને ક્યાં ગયા. રાણા ઔવેસી ભાઈઓને સંબોધીને આ કહેતા હતા.
આ દરમિયાન અસુદ્દીન ઔવેસીના ભાઈ અકબરુદ્દીને રાણા પર પલટવાર કરતા રહ્યું હતું કે 15 સેકન્ડ નહીં, પણ તમે 15 કલાક કે 15 દિવસ લઈ લો અને તમારાથી થાય તે કરી લો. અમે તમારાથી ડરતા નથી. 2013માં અકબરુદ્દીને હેટ સ્પીચ આપી હતી અને કહ્યું હતું કે જો પોલીસ 15 મિનિટ માટે હટી જાય તો દેશના 25 કરોડ મુસ્લિમો હિન્દુઓ સામે લડી લે તેમ છે.
જોકે આ બન્ને નિવેદનો માત્ર રાજકીય છે અને જનતાના પ્રશ્નો સાથે કંઈ લેવા દેવા નથી. હાલમાં ચાલી રહેલી ચૂંટણીમાં થતી બયાનબાજીએ ભારતીય મતદારોને વધારે નિરાશ કર્યા છે અને કોઈ પાસે જનતાના મુદ્દા ન હોવાથી આવા ધર્મ અને જાતિના વિખવાદો ઊભા કરી રહ્યા હોવાનું સામાન્ય જનતા અને નિષ્ણાતો જણાવી રહ્યા છે.