નીતીશ કુમારને ફોન કર્યા બાદ રાહુલ ગાંધી હવે શરદ પવારને મળ્યા, જાણો મહત્વ

નવી દિલ્હીઃ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના વડા શરદ પવાર સાથે મુલાકાત કરી હતી. વિપક્ષી ગઠબંધન ઇન્ડિયાની ચોથી બેઠક મંગળવારે નવી દિલ્હીની અશોકા હોટેલમાં યોજાઈ હતી, ત્યારે બંને નેતાઓની આજની મુલાકાત ઘણી મહત્વની છે.
ઈન્ડિયા અલાયન્સની બેઠકમાં સીટ શેરિંગ, જોઈન્ટ રેલી અને પીએમ ફેસ સહિતના અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. વિપક્ષી ગઠબંધન સામે સૌથી મોટો પ્રશ્ન સીટોની વહેંચણીનો હોવાનું માનવામાં આવે છે. આવી સ્થિતિમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને શરદ પવાર વચ્ચેની મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી માટે મહારાષ્ટ્રમાં બેઠકોની વહેંચણી એક મોટો પડકાર છે. અહીં મહાવિકાસ અઘાડી એટલે કે કોંગ્રેસ, ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને શરદ પવારની એનસીપી વચ્ચે પહેલેથી જ ગઠબંધન છે. આવી સ્થિતિમાં સવાલ એ છે કે મહારાષ્ટ્રની 48 લોકસભા બેઠકમાંથી કોને કેટલી બેઠકો આપવામાં આવે? મહારાષ્ટ્ર ઉપરાંત, વિપક્ષી ગઠબંધન ઇન્ડિયાને યુપી, પશ્ચિમ બંગાળ, પંજાબ અને દિલ્હીમાં સીટ વહેંચણી અંગેના પ્રશ્નોનો સામનો કરવાનો મોટો પડકાર છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગઠબંધન ઇન્ડિયામાં સામેલ પક્ષોના નેતાઓ સાથે સતત વાતચીત કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ ગુરુવારે (21 ડિસેમ્બર) બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર સાથે પણ ફોન પર વાત કરી હતી.
હાલમાં એવી અટકળો ચાલી રહી છે કે નીતીશ કુમાર પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજી દ્વારા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું નામ પીએમ ચહેરા તરીકે આગળ મૂકવાથી નારાજ છે, એવા સમયે બંને નેતાઓએ ફોન પર વાત કરી હતી. જો કે, જેડીયુએ આ વાતને ફગાવી દીધી છે. ઘણી વખત નીતીશ કુમારે એમ પણ કહ્યું છે કે તેઓ પીએમ પદની રેસમાં નથી.
કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)એ ગુરુવારે જ પોતાના ઠરાવમાં કહ્યું હતું કે તે ખૂબ જ જલ્દી ઉમેદવારોની પસંદગી કરશે અને વિપક્ષી ગઠબંધન ઇન્ડિયાને ભાજપ સામે અસરકારક બનાવવા માટે પગલાં લેશે. આવી સ્થિતિમાં ગઠબંધનના નેતાઓ સાથે રાહુલ ગાંધીની વાતચીતને આ સંદર્ભમાં જોવામાં આવી રહી છે.