નેશનલ

એક તો પ્લેનક્રેશ અને બીજું વિશ્વમાં ફેલાયેલી અશાંતિઃ એર ઈન્ડિયાએ કરવો પડ્યો આ નિર્ણય, યાત્રીઓ માટે મુસિબત

નવી દિલ્હી: એર ઈન્ડિયાએ આંતરરાષ્ટ્રીય ઉડાનોમાં 15% કાપની જાહેરાત કરી છે, ઉલ્લેખનીય છે કે આ નિર્ણય જુલાઈના મધ્ય ભાગ સુધી વાઈડ બોડી વિમાનો પર લાગુ રહેશે. આ નિર્ણય 12 જૂન, 2025ના રોજ અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટના બાદ લેવાયો છે. એરલાઈનનો દાવો છે કે આ પગલું ઓપરેશનલ સ્થિરતા, કાર્યક્ષમતા વધારવા અને યાત્રીઓની અસુવિધા ઘટાડવા માટે છે.

એર ઈન્ડિયાએ સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરી જણાવ્યું કે, મધ્ય પૂર્વના ભૌગોલિક તણાવ, યુરોપ અને પૂર્વ એશઇયાના દેશોમાં રાત્રિના કર્ફ્યૂ, સલામતી નિરીક્ષણો અને પાઈલટ-ઈજનેરોના સાવચેત અભિગમને કારણે છેલ્લા 6 દિવસમાં 83 ઉડાનો રદ કરવામાં આવી હતી. આ કાપથી રિઝર્વ વિમાનોની ઉપલબ્ધતા વધશે, જેથી અણધારી સમસ્યાઓનો સામનો કરી શકાય. યાત્રીઓને વૈકલ્પિક ઉડાનો, મફત રિશિડ્યૂલિંગ અથવા સંપૂર્ણ રિફંડનો વિકલ્પ આપવામાં આવશે. 20 જૂન, 2025થી નવું શિડ્યૂલ જાહેર થશે.

અમદાવાદ દુર્ઘટના અને તપાસ

અમદાવાદમાં થયેલી AI-171 વિમાન દુર્ઘટનાની તપાસ ચાલુ છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ એર ઈન્ડિયાના બોઈંગ 787-8 અને 787-9 ફ્લીટના સઘન નિરીક્ષણનો આદેશ આપ્યો છે. કુલ 33 વિમાનોમાંથી 26નું નિરીક્ષણ પૂર્ણ થઈ ગયું છે અને આ વિમાનો ફરી કાર્યરત થઈ ચૂક્યા છે, જ્યારે બાકીના ટૂંક સમયમાં ચેક થશે.

આપણ વાંચો:  સોનમે 25 દિવસમાં 240 વખત જેની સાથે વાત કરી તે વ્યક્તિ કોણ છે? શિલોંગ પોલીસ ખોલ્યું મોબાઈલનું રાજ

યાત્રીઓ માટે સુવિધાઓ

એર ઈન્ડિયાએ રદ થયેલી ઉડાનોની યાત્રીઓને અગાઉથી સૂચિત કરવાની ખાતરી આપી છે. અસરગ્રસ્ત યાત્રીઓને વૈકલ્પિક ફ્લાઈટમાં સમાવવા પ્રયાસ કરાશે. યાત્રીઓ ઇચ્છે તો મફતમાં ટિકિટ રિશિડ્યૂલ કરાવી શકે છે અથવા પૂરું રિફંડ મેળવી શકે છે. આ પગલાં યાત્રીઓની સુવિધા અને વિશ્વાસ જાળવવા માટે લેવાયા છે, જ્યારે એરલાઈન પડકારજનક સ્થિતિમાં સ્થિરતા લાવવા કામ કરી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button