દિલ્હીમાં આપની જેલ કા જવાબ વોટ સે ઝુંબેશ

નવી દિલ્હી: આમ આદમી પાર્ટી (આપ) દ્વારા મંગળવારે દિલ્હીના શાહદરા વિસ્તારમાં ઘરે ઘરે ફરીને જેલ કા જવાબ વોટ સે ઝુંબેશ ચાલુ કરીને મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ માટે સમર્થન એકઠું કરવાનો પ્રારંભ કર્યો છે. અત્યારે કેજરીવાલ તિહાર જેલમાં છે અને પાર્ટી લોકસભાની ચૂંટણીમાં તેમના માટે સમર્થન એકઠું કરી રહી છે.
આ ઝુંબેશ હેઠળ આપના નેતાઓ લોકસભાના ચાર મતદારસંઘોમાં જ્યાં ઉમેદવારો ઊભા રાખવામાં આવ્યા છે ત્યાં ઘરે ઘરે મુલાકાત કરશે.
આપના દિલ્હીના ક્ધવીનર ગોપાલ રાયે આ ઝુંબેશની શરૂઆત શાહદાર વિસ્તારમાંથી કરી હતી. તેમની સાતે પાર્ટીના દિલ્હી પૂર્વના ઉમેદવાર કુલદીપ કુમાર પણ હતા.
આ પણ વાંચો : IBના અહેવાલ બાદ ચૂંટણી કમિશનરને ઝેડ સિક્યોરિટી
કેજરીવાલની 21મી માર્ચના રોજ લિકર પોલીસી કૌભાંડ સાથે સંકળાયેલા મની-લોન્ડરિંગના કેસમાં ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
કૉંગ્રેસ સાથે ઈન્ડી ગઠબંધનમાં સહભાગી આમ આદમી પાર્ટી દિલ્હીમાં ચાર બેઠકો- ન્યુ દિલ્હી, ઈસ્ટ દિલ્હી, સાઉથ દિલ્હી અને વેસ્ટ દિલ્હીમાંથી ચૂંટણી લડી રહી છે. જ્યારે કૉંગ્રેસ દિલ્હીની બાકીની ત્રણ બેઠક પરથી ચૂંટણી લડી રહી છે.
દિલ્હીની લોકસભાની સાતેય બેઠકો પર 25 મેના રોજ મતદાન થશે. (પીટીઆઈ)