આરએસએસની વિચારધારાની જાણીતા સિંગરે કરી પ્રશંસા

નાગપુર: પદ્મ શ્રી પુરસ્કાર વિજેતા અને જાણીતા ગાયક શંકર મહાદેવને મંગળવારે રાષ્ટ્ર અને તેની સંસ્કૃતિ, પરંપરાઓ અને “અખંડ ભારત”ની વિચારધારાની જાળવણી પ્રત્યે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના યોગદાનની પ્રશંસા કરી હતી.
નાગપુરના રેશિમબાગ વિસ્તારમાં આરએસએસના વાર્ષિક વિજયાદશમી કાર્યક્રમને સંબોધિત કરતા, પદ્મશ્રી પુરસ્કાર વિજેતા મહાદેવને આરએસએસની પ્રશંસા કરતાં કહ્યુ હતું કે ‘અખંડ ભારત’ની અમારી વિચારધારા, અમારી પરંપરાઓ, અમારી સંસ્કૃતિને જાળવવામાં આરએસએસનું યોગદાન કોઈ કરતાં વધારે છે.
મહાદેવને કહ્યું હતું કે આજે મને ભારતીય નાગરિક હોવાનું ખૂબ જ ગૌરવ છે. તેમણે લોકોને પોતપોતાના ક્ષેત્રોમાં નોંધપાત્ર કાર્ય દ્વારા રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા વિનંતી પણ કરી હતી. શંકર મહાદેવને કહ્યું કે આજનો મારો અનુભવ અદ્ભુત રહ્યો છે. આપણી સંસ્કૃતિ અને પરંપરાના રક્ષણમાં આપ સૌનું યોગદાન અનન્ય છે. હું યુવાનો અને બાળકો સાથેની મારી વાતચીતમાં અને મારા શો, રિયાલિટી શો અને ફિલ્મી ગીતોમાં પણ આ કરવાનો પ્રયાસ કરું છું, એમ તેમણે જણાવ્યું હતું.
હું માનું છું કે સંગીત અને ગીતો દ્વારા આપણી સંસ્કૃતિને ભાવિ પેઢી સુધી શિક્ષિત કરવી અને તેનું પ્રસારણ કરવું એ મારી ફરજ છે. અહીંના કાર્યક્રમમાં મહાદેવને મુખ્ય અતિથિ તરીકે આરએસએસના કાર્યક્રમમાં હાજરી આપવાનું આમંત્રણ મળ્યા પછી, તેમને ઘણા લોકો તરફથી અભિનંદન કોલ્સ આવ્યા, જે મને સ્પર્શી ગયા હતા. શંકર મહાદેવને નાગપુરમાં આરએસએસના સ્થાપક ડૉ કે બી હેડગેવારના સ્મારક હેડગેવાર સ્મૃતિ મંદિરની પણ મુલાકાત લીધી હતી અને સંઘના દશેરા કાર્યક્રમ અને સંકલનની પ્રશંસા કરી હતી. મહાદેવને લોકોને તેમના સંબંધિત ક્ષેત્રોમાં નોંધપાત્ર કાર્ય દ્વારા રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા વિનંતી કરી હતી.