કાશીમાં દેવદિવાળીની ભવ્ય ઉજવણી, 70થી વધુ રાજદૂતે લીધો ભાગ

વારાણસી: કાશીનગરીમાં આજે કારતક પૂનમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વિદેશ મંત્રાલય દ્વારા ઉજવણી માટેનું તમામ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આશરે 10 લાખથી વધુ દીવડાઓથી વારાણસીના 80થી વધુ ઘાટ ઝગમગ્યા હતા. લગભગ 70 દેશોના રાજદૂતોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથના નેતૃત્વમાં ભારતીય સંસ્કૃતિમાં ઐતિહાસિક મહત્વ ધરાવતા વારાણસીમાં દેવ દિવાળીના તહેવારની ઉજવણી માટે ભવ્ય કાર્યક્રમ યોજાયો છે. ગંગાઆરતી સહિત ઘાટ પર જેટલા દીવડાની સજાવટ કરવામાં આવી છે તેમાંથી એક લાખ જેટલા દીવડા ગાયના ગોબરમાંથી બનાવવામાં આવ્યા છે.
ઉપરાંત સ્પાયરલ લાઇટથી શહેરમાં પણ રોશની કરવામાં આવી છે. વારાણસીમાં સુરક્ષા વ્યવસ્થા પણ સઘન કરવામાં આવી છે. લગભગ 70થી વધુ દેશોના રાજદૂતો તથા 150થી વધુ ડેલીગેટ્સ આ ભવ્ય કાર્યક્રમમાં સામેલ થયા છે.
વારાણસીમાં કાશી વિશ્વનાથ ધામના લોકાર્પણ બાદ રેકોર્ડબ્રેક સંખ્યામાં પર્યટકો આવી રહ્યા છે. આ પહેલા G-20ની અધ્યક્ષતા દરમિયાન SCOની અનેક બેઠકો વારાણસીમાં યોજાઇ હતી. વારાણસી ઉપરાંત અયોધ્યાની પણ અનેક વિદેશી મહાનુભાવો મુલાકાત લેવાના છે. આ વખતે દેવ દિવાળીની ઉજવણીમાં ઉત્તરવાહિની ગંગા ઘાટ સહિત 85 ઘાટો પર 20 લાખથી વધુ દિવડા પ્રગટાવવામાં આવશે. ગંગાકિનારે રેતી પર પણ દીપકો મુકાશે. ગંગા દ્વાર પર લેઝર શોનું આયોજન થશે જેમાં કાશી વિશ્વનાથનું માહાત્મ્ય, કાશી કોરિડોરના નિર્માણ સંબંધિત જાણકારી આપવામાં આવશે.