રામલલાની નગરી અયોધ્યામાં બનશે નવો રેકોર્ડ…

અયોધ્યા: રામલલા ગર્ભગૃહમાં બિરાજે તે પહેલાં રામનગરી અયોધ્યા ઝળહળી ઉઠશે. આ વખતની દિવાળી અયોધ્યાવાસીઓ માટે એકદમ ખાસ છે કારણકે આ વર્ષે દિવાળી પર સરયૂ નદીના 51 ઘાટો પર 21 લાખથી વધુ દીવા પ્રગટાવીને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. તેમાં પણ ખાસ વાત એ છે કે આ વખતે સ્થાનિક કુંભારો પાસેથી 10 લાખ દીવા ખરીદવામાં આવશે જેના કારણે અનેક નાના કુંભારોને રોજગારી પણ મળશે.
રામનગરી અયોધ્યામાં દિવાળી પર ઉજવણીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. અયોધ્યાના 35 કુંભાર પરિવારોએ 10 લાખ દીવાઓમાંથી 5 લાખથી વધુ દીવા બનાવી દીધા છે. તેમનું કહેવું છે કે આગામી થોડા દિવસોમાં બાકીના 5 લાખ દીવા પણ તૈયાર થઈ જશે. આ વર્ષે નોઇડાની એક કંપનીને સ્થાનિકો પાસેથી દીવા ખરીદવા માટે ટેન્ડર આપવામાં આવ્યું છે. આથી અયોધ્યાના ઘાટ પર જે દીવા કરવામાં આવશે જેમાં 10 લાખ દીવા તો સ્થાનિક કુંભારો દ્વારા જ બનાવેલા હશે. જેના કારણે લોકો ખુશ છે અને તેમને સારો આર્થિક લાભ પણ મળી રહ્યો છે. આટલી મોટી સંખ્યામાં દીવા બનાવવા માટે કુંભારો કેટલીક જગ્યાએ ઓટોમેટિક વ્હીલથી અને બીજી જગ્યાએ ઈલેક્ટ્રીક વ્હીલથી લેમ્પ બનાવવામાં વ્યસ્ત છે.
આ દિવાળીએ સરયૂના કિનારે એક સાથે 21 લાખ દીવા પ્રગટાવીને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. તેમજ મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથનો પણ આ કાર્યક્રમનું આયોજન કરવા અને રોજગાર આપવા બદલ આભાર માની રહ્યા છે. આ વખતે સરયૂ નદીના કિનારે 21 લાખ દીવા પ્રગટાવવામાં આવશે. આમાં લગભગ 1 લાખ 5 હજાર લિટર સરસવના તેલનો ઉપયોગ કરવામાં આવશે. આ દીવાઓ પ્રગટાવવા માટે 25000 સ્વયંસેવકો કામ કરશે.