કરોડોનો સોનાનો ભંડાર ધરાવતી ખાણની ટૂંક સમયમાં થશે હરાજી, હાઈકોર્ટે આપી મંજૂરી… | મુંબઈ સમાચાર

કરોડોનો સોનાનો ભંડાર ધરાવતી ખાણની ટૂંક સમયમાં થશે હરાજી, હાઈકોર્ટે આપી મંજૂરી…

બાંસવાડાના ભુકિયા જગપુરા વિસ્તારમાં સોનાના ભંડારની શોધનો કેસ કોર્ટમાં પેન્ડિંગ હોવાને કારણે રાજ્ય સરકાર આ ખાણની હરાજી કરી શકી ન હતી. રાજ્ય સરકારે હાઈ કોર્ટમાં આ બાબતની રજૂઆત કરી હતી ત્યારે હાઇ કોર્ટે વિપક્ષની અરજી ફગાવી દીધી હતી અને રાજ્ય સરકારની તરફેણમાં ચૂકાદો આપ્યો હતો. આ ચૂકાદા બાદ એક સમયે કાળા પાણીની સજા તરીકે ઓળખાતો બાંસવાડા જિલ્લો ટૂંક સમયમાં રાજ્યમાં સોનાની ખાણો ધરાવનાર દેશના પ્રથમ અને અગ્રણી સ્થાનમાં સામેલ થશે.

ખાણ નિયામક વિનુ ગુપ્તાએ જણાવ્યું હતું કે બાંસવાડાના ભુકિયા જગપુરામાં સોનાની ખાણની હરાજી માટે જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ કરવામાં આવી રહી છે. એક અંદાજ મુજબ અહી સોનું, તાંબુ અને કોબાલ્ટ અને નિકલના ભંડાર છે. અને તે 1 લાખ 34 હજાર કરોડ રૂપિયાથી વધુ મૂલ્યના સંભવિત સોનાના ભંડાર અને 7720 કરોડ રૂપિયાના તાંબાના ભંડાર અહી હોવાની સંભાવના ઠે.

ખાણ નિયામક સંદેશ નાયકે જણાવ્યું હતું કે 1990-91માં ભારતીય ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણ દ્વારા બાંસવાડાના ઘાટોલ તાલુકાના ભુકિયા જગપુરામાં કરવામાં આવેલા સંશોધન દરમિયાન 69.658 ચોરસ કિલોમીટરના ત્રણ બ્લોકને સંશોધન માટે અનામત રાખવામાં આવ્યા હતા. આ વિસ્તારમાં સંશોધન દરમિયાન, 15 બ્લોકમાં 171 બોરના છિદ્રોમાં 46037.17 મીટર ડ્રિલિંગ કરતા સોનાનો ભંડાર મળી આવ્યો હતો. બાંસવાડાના ભુકિયા જગપુરામાં સંશોધન દરમિયાન 14 બ્લોકમાં 1.945 ગ્રામ/ટનના આશરે 114.76 મિલિયન ટન સોનાનો ભંડાર હોવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. તેમજ આ વિસ્તારમાં 223.63 ટન ગોલ્ડ મેટલ મળવાની શક્યતા છે.

સોનાની ખાણોની હરાજીથી રાજ્યને ઓળખ મળશે અને કરોડો રૂપિયાની આવક થશે. સાથે રાજ્ય સરકારને રોજગારીની નવી તકો પણ મળશે. હાઈકોર્ટ દ્વારા કેસનો ચૂકાદો આપતા વિભાગે હરાજીની જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ કરવાનું શરૂ કરી દીધું છે.

Back to top button