નેશનલ

આતંકી હુમલા બાદ પહેલીવાર કાશ્મીરમાં મોટું આયોજન, ખીર ભવાની મેળામાં ઉમટ્યા ભક્તો

જમ્મુ અને કાશ્મીરઃ પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાનના સંબંધો વધારે ખરાબ થયાં છે. એટલું જ નહીં પરંતુ આતંકવાદી હુમલાના કારણે જમ્મુ અને કાશ્મીર (Jammu And kashmir)ના પ્રવાસન ઉદ્યોગ (Tourism Industry)ને પણ ખૂબ માઠી અસર થઈ હતી. મોટા ભાગના લોકોએ કાશ્મીરનો પ્રવાસ રદ્દ કરી નાખ્યો હતો. પરંતુ હવે ફરી કાશ્મીરમાં ગાંદરબલમાં ખીર ભવાની મેળા (Kheer Bhawani Mela)ના રૂપમાં પહેલો મોટો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. આ માટે કડક સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આવતી કાલથી ગાંદરબલ (Ganderbal)ના તુલમુલ્લા, કુલગામના માંઝગામ અને દેવસર, કુપવાડાના ટિક્કર અને અનંતનાગના લોગ્રીપોરા ખાતે સ્થિત પાંચ રાગ્ન્યા ભગવતી મંદિરોમાં મેળાનું આયોજન કરવામાં આવશે.

યાત્રાળુઓની સલામતી અને રહેવાની તમામ વ્યવસ્થા કરાઈ

આ મેળા પહેલા જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. પોલીસ અધિકારીએ પણ અહીંની સુરક્ષા મુદ્દે સમીક્ષા કરી હતી. કડક સુરક્ષા સાથે કાશ્મીરી પંડિતો સહિત સેંકડો લોકો 60 બસોના કાફલામાં ખીણ તરફ રવાના થયા. આ લોકો ખીર ભવાની મેળામાં ભાગ લેવાના છે. સુરક્ષા મામલે અધિકારીઓનું કહેવું છે કે, યાત્રાળુઓની સલામતી અને રહેવાની તમામ વ્યવસ્થા કરાઈ છે. પરંતુ ગયા વર્ષની સરખામણીમાં આ વખતે મેળામાં ભક્તોની સંખ્યા ઓછી છે.

કાશ્મીરી પંડિતો માટે ખીર ભવાની મંદિર ખૂબ જ પવિત્ર

દર વર્ષે શ્રીનગર પાસે આવેલા રાગ્ન્યા દેવીના મંદિરમાં માતા ખીર ભવાનીનો મેળો ભરાય છે. જો કે, આ વર્ષે લોકોની સંખ્યા ઓછી જોવા મળી છે. આનું કારણે પહલગામમાં થયેલો આતંકવાદી હુમલો છે. ખીર ભવાની મંદિર કાશ્મીરી પંડિતો માટે ખૂબ જ પવિત્ર મનાય છે. દર વર્ષે જ્યેષ્ઠા અષ્ટમીના અવસરે, ગાંદરબલના ખીર ભવાની મંદિરમાં મેળો ભરાય છે. આ મંદિરમાં ખીર ભવાની દેવીને ખીર ચઢાવવામાં આવે છે.

મંગળવારે ભક્તો આ મંદિરના દર્શન કરવા માટે પહોંચશે

અહીં મેળામાં આવતા ભક્તો માટે ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. મંગળવારે ભક્તો આ મંદિરના દર્શન કરશે અને એક દિવસ બાદ પાછા જમ્મુ આવી જશે, તેની માટે પોલીસ દ્વારા ખાસ સુરક્ષા ગોઠવવામાં આવી છે. પોલીસે દ્વારા જમ્મુની બહારના વિસ્તારમાં નાગરોટાથી રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (RTC) બસોના કાફલાને લીલી ઝંડી આપીને રવાના કરવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ યાત્રાળુઓની સુરક્ષા અને રસ્તામાં અને ખીણમાં તેમના રહેવા અને ખાવા-પીવાની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.

આપણ વાંચો:  ભારતની વોટર સ્ટ્રાઈકથી પાકિસ્તાનમાં સર્જાયું પાણીનું સંકટ, ચેનાબ નદીમાં પાણીનો પ્રવાહ ઘટ્યો

અમને કોઈ વાતનો ડર નથી, ધરતી અમારી માતા છેઃ શ્રદ્ધાળુ

અહીં આવેલા લોકોએ જણાવ્યું કે, તેઓ છેલ્લા 36 વર્ષથી ડરના માહોલ વચ્ચે પણ આ મંદિરના દર્શન કરવા માટે આવે છે. અહીં ભગવાન અમારી રક્ષા કરે છે. એક શ્રદ્ધાળુઓ કહ્યું કે, ‘અમને કોઈ વાતનો ડર નથી. ધરતી અમારી માતા છે. એટલે આવી રીતે દર વર્ષે અમે અહીં આવતા રહીશું’. અહીં આવેલા ભક્તોએ લોકોને આ મંદિરના દર્શન કરવા માટે આવવા લોકોને અપીલ કરી હતી. આ મેળામાં અનેક લોકો એવા પણ છે જેઓ પહેલી વખત અહીં આવી રહ્યાં છે. જ્યારે ઘણાં લોકો તો વર્ષોથી આ મંદિરના દર્શન કરવા માટે આવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button