શ્રીનગરના લાલ ચોકમાં ગુજરાતીએ તિરંગો ફરકાવ્યોઃ દેશવાસીઓને શું આપ્યો ‘મેસેજ’, જાણો?

શ્રીનગર: આજે દેશના ૭૯માં સ્વાતંત્ર્ય પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી થઇ રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાટનગરમાં લાલ કિલ્લા પરથી સતત બારમી વખત તિરંગો ફરકાવ્યો હતો.
સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં શ્રીનગરનો લાલ ચોક પણ દેશભક્તિના રંગે રંગાયો હતો. લાલ કિલ્લા પરથી વડા પ્રધાન મોદી દુશ્મન દેશને સંદેશ આપ્યો હતો.

જ્યારે એક ગુજરાતી સહિત અન્ય બે રાજસ્થાનના નાગરિકે લાલચોક ખાતે તિરંગો ફરકાવીને દેશવાસીઓને મહત્ત્વનો સંદેશ આપ્યો હતો.
શ્રીનગરના લાલ ચોક પર રાષ્ટ્રધ્વજ લહેરાવાનારા ગુજરાતના અરુણએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે તેઓ દર વર્ષે શાંતિ અને ભાઈચારાનો સંદેશ આપવા લાલ ચોક આવે છે.
તેમણે આશા વ્યક્ત કરી કે અહીં શાંતિ અને ભાઈચારો કાયમ રહેશે, કારણ કે પાકિસ્તાની આતંકવાદીઓ ભારત અને જમ્મુ કાશ્મીરમાં સદ્ભાવના કેળવાય અને એકતા દ્રઢ બને તેવું ઈચ્છતા નથી.
વર્ષોથી ઉજવીએ છીએ ‘હર ઘર તિરંગા’
તેમની સાથે રહેલા રાજસ્થાનના બલબીર સિંહે જણાવ્યું હતું કે તેઓ 2015થી લાલ ચોક સુધી તિરંગા યાત્રા કાઢવા માટે આવી રહ્યા છે. આ વખતે તેમણે 10મી વખત લાલ ચોક પર તિરંગો ફરકાવ્યો છે.
તેમણે કહ્યું કે ભલે સરકારે તાજેતરમાં ‘હર ઘર તિરંગા’ અભિયાન શરૂ કર્યું હોય, પણ તેઓ આ કામ વર્ષોથી કરતા આવ્યા છે અને અત્યાર સુધીમાં 20 લાખથી વધુ તિરંગાનું વિતરણ કરી ચૂક્યા છે.
લાલ કિલ્લા પર આતંક નહી પણ દેશભક્તિ ગુંજી
ઉલ્લેખનીય છે કે એક સમય હતો જ્યારે આ શ્રીનગરના લાલ ચોક પર તિરંગો ફરકાવતા લોકો ડરતા હતા. પરંતુ હવે સમય બદલાયો છે. જમ્મુ-કાશ્મીર આતંકવાદના પડછાયામાંથી બહાર આવી રહ્યું છે અને તેનો શ્રેય કેન્દ્ર સરકારની આતંકવાદ સામેની ઝીરો ટોલરન્સની નીતિ અને ભારતીય સેનાના શૌર્યને જાય છે.
આજે લાલ ચોક પર તિરંગો લહેરાઈ રહ્યો છે અને દેશભક્તિના નારા ગુંજી રહ્યા છે, જે જોઈને દુશ્મનો ચોક્કસપણે ચોંકી ઉઠ્યા હશે.
આ પણ વાંચો…લાલ કિલ્લા પરથી સતત 12મી વખત ભાષણ આપી નરેન્દ્ર મોદીએ ઈન્દિરાનો રેકોર્ડ તોડ્યો