ચીનમાં ચામાચિડીયામાં 20 નવા વાયરસ? અભ્યાસમાં થયો ખુલાસો

નવી દિલ્હીઃ વર્ષ 2019થી 2021 દરમિયાન આવેલા કોરોના મહામારીમાંથી દેશ અને દુનિયા માંડ બહાર આવ્યા છે. એકબાજુ વિશ્વમાં જોવા મળતી અશાંતિના માહોલ વચ્ચે ફરી મહામારીને નોતરનારા વાયરસની પુષ્ટિ થઈ છે. જોકે આ માત્ર એક પ્રાથમિક અહેવાલ છે અને ડર કે ભયનો માહોલ ફેલાવવાની કોઈ જરૂર નથી, પણ સતર્ક રહેવાનું જરૂરી છે.
નિપાહ અને હેંડ્રા જેવા વાયરસ
ચીને કરેલા પરિક્ષણમાં જે 20 નવા વાયરસ મળી આવ્યા છે, તેમાં નિપાહ અને હેંડ્રા નામના જીવલેણ વાયરસ જેવા વાયરસ પણ મળી આવ્યા છે. આ બન્ને વાયરસ મનુષ્યોના દિમાગમાં સોજો પેદા કરે છે અને શ્વાસથી જોડાયેલી બીમારીઓનું કારણ પણ બની શકે છે. એક મેગેઝીનમાં છપાયેલા અહેવાલ અનુસાર આ ચામાચિડીયાઓના મળમૂત્રથી બીમારી ફેલાઈ શકે છે.
અહીંના વૈજ્ઞાનિકોએ 2017 અને 2021 વચ્ચે 10 પ્રજાતિયોના 142 ચામાચિડીયાની કિડનીના સેમ્પલની તપાસ કરી. જેમાં 22 વાયરસ જોવા મળ્યા. આ 22માંથી 20 એવા છે જે વિશે કોઈને જાણકારી ન હતી. જેનાથી સૌને જોખમ જણાઈ રહ્યું છે તે યુન્નાન વૈંટ હેનિપાવાયરસ 1 અને 2 છે, જે હેંડ્રા અને નિપાહ વાયરસ સાથે મળતા આવે છે. આ વાયરસ માણસો અને જનાવરો માટે ઘાતક સાબિત થઈ શકે છે.
હાલમાં થયેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જો આ ચામાચિડીયાના મળમૂત્રની જગ્યા આસપાસ કોઈપણ પ્રવૃત્તિઓ થાય, જેમકે ખેતીવાડી કે અન્ય કોઈ તો તેના દ્વારા વાયરસ ફેલાઈ શકે છે. જોકે આ અંગે સત્તાવાર કોઈ માહિતી નથી અને ડોક્ટરો સતત કહેતા રહે છે કે ડરવાની નહીં. માત્ર સતર્ક રહેવાની જરૂર છે.
આ પણ વાંચો…રાજકોટમાં કોરોનાના 4 નવા કેસ નોંધાયાઃ 30 દર્દી હોમ આઈસોલેશનમાં