શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે દેશમાં 100 નવી સૈનિક શાળાઓની સ્થાપના: રાજનાથ સિંહ

નવી દિલ્હી: ભારતમાં બુનિયાદી શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે, કેન્દ્ર સરકારે દેશભરમાં 100 નવી સૈનિક શાળાઓ સ્થાપવાનો નિર્ણય લીધો છે. આજે બુધવારે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે કેરળના અલાપ્પુઝામાં વિદ્યાધિરાજ વિદ્યાપીઠમ સૈનિક શાળાનું ઉદ્ઘાટન કર્યું હતું, તે દરમિયાન આ પહેલની જાહેરાત કરી હતી.
વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સંબોધન કરતાં સંરક્ષણ પ્રધાને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે શાળા વિદ્યાર્થીઓમાં શિસ્ત, સમર્પણ, આત્મનિયંત્રણ અને રાષ્ટ્ર સેવાના મૂલ્યો કેળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તેમણે કહ્યું કે 100 નવી સૈનિક શાળાઓ સ્થાપવાનો ઉદ્દેશ્ય રાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટે મૂળભૂત શિક્ષણની ગુણવત્તામાં સુધારો કરવાનો છે.
છોકરીઓને મળશે પ્રવેશ
સંરક્ષણ પ્રધાને કહ્યું કે કેન્દ્ર સરકારે સૈનિક શાળાઓમાં છોકરીઓના પ્રવેશ માટેનો માર્ગ પણ મોકળો કર્યો છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે ભારતના દરેક જિલ્લામાં સૈનિક શાળાઓ સ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે. જેથી દૂરના વિસ્તારો અને દેશના વિવિધ સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિના કર્મચારીઓનો સમાવેશ થાય.
2025 પછી જન્મેલા બાળકોને બીટા જનરેશન
રાજનાથ સિંહે કહ્યું, “એવું કહેવાઈ રહ્યું છે કે 01 જાન્યુઆરી 2025 પછી જન્મેલા બાળકોને ‘બીટા જનરેશન’ કહેવામાં આવશે અને તેમની પાસે નવી વસ્તુઓ અને નવી ટેકનોલોજી શીખવાની ક્ષમતા વધુ હશે.” તેમણે કહ્યું કે આગામી વર્ષોમાં આ શાળા બાળકોને ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટેનો આધાર પૂરો પાડશે. સંરક્ષણ પ્રધાને કહ્યું, “શિક્ષણ અને ચારિત્ર્ય નિર્માણમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરીને, આપણા વિદ્યાર્થીઓ ફક્ત 21મી સદીમાં જ નહીં પરંતુ આગામી સદીમાં પણ નેતાઓ પૂરા પાડશે.”