નેશનલ

ઉત્તરાખંડમાં ટ્રાફિક ‘જામ’: વેકેશન અને વીકએન્ડમાં પ્રવાસીઓ પરેશાન, પોલીસ એલર્ટ

દહેરાદૂન/નવી દિલ્હી: દેશમાં નૈઋત્યના ચોમાસાનું વહેલું આગમન થયું હોવા છતાં, ઉત્તર ભારતના મેદાની વિસ્તારો હજુ પણ ચોમાસાની રાહ જોઈ રહ્યા છે. આકરી ગરમીના કારણે લોકો પહાડી વિસ્તારો તરફ ફરવા જઈ રહ્યા છે. જોકે, ગરમીથી રાહત મેળવવા અને શાંતિના પળો માણવા પહાડોમાં જવાનું આયોજન કરી રહ્યા હોય તો ટ્રાફિકની સ્થિતિ અંગે અપડેટ લેવું અત્યંત જરૂરી છે. હાલમાં પહાડી વિસ્તારોમાં પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે, અને ઠેર ઠેર ટ્રાફિક જામના કારણે લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

વીકએન્ડમાં ડબલ પ્રેશર

ગઈકાલે, અને આજે ચારધામ યાત્રા અને વીકએન્ડના કારણે હરદ્વાર અને ઋષિકેશમાં પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો. મિનિટોની મુસાફરી અચાનક કલાકોમાં ફેરવાઈ ગઈ હતી. સમગ્ર ઉત્તરાખંડમાં હાલ પ્રવાસીઓનો બહારે ઘસારો છે. ઉત્તરાખંડના ઋષિકેશ અને દેહરાદૂન તરફ જતા માર્ગો પર વાહનોની લાંબી કતારો ધીમે ધીમે આગળ વધી રહી છે. વીકએન્ડમાં દેહરાદૂન અને ઋષિકેશ ફરવાનો પ્લાન બનાવ્યો હતો, તેમના પ્લાન પર પાણી ફરી વળ્યું હતું.

આ પણ વાંચો: ઉત્તરાખંડની સરકારી ઓફિસમાં કર્મચારીઓને બે મુઠ્ઠી ચોખા લાવવાનો અપાયો વિચિત્ર આદેશ, જાણો કારણ

હિલ સ્ટેશન પર પણ જામ

આ સાથે જ હરદ્વાર પણ અનેક જગ્યાએ લાંબો જામ છે, જેના કારણે ઘણા લોકોને પોતાના ગંતવ્ય સ્થાને પહોંચવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. ચારધામ યાત્રા અને તેની સાથે વીકએન્ડના કારણે આ સમસ્યા વધુ વકરી છે. ટ્રાફિક જામના કારણે ટ્રાફિક પોલીસકર્મીઓને પણ ભારે મહેનત કરવી પડી રહી છે. ઘણા લોકો બે દિવસના વીકએન્ડ પર નજીકના હિલ સ્ટેશન પહોંચીને સોમવાર સુધીમાં પાછા ફરવાનું આયોજન કરીને ઘરેથી નીકળ્યા હતા. જોકે, કલાકો સુધી જામમાં ફસાયેલા રહેવાની મજબૂરીએ વીકએન્ડ પર હિલ સ્ટેશનની મુસાફરીનો આનંદ છીનવી લીધો છે.

ગૂગલ મેપમાં પણ ટ્રાફિક જામ

સામાન્ય રીતે મુસાફરી દરમિયાન લોકો ટ્રાફિક અપડેટ માટે ગૂગલ મેપની મદદ લેતા હોય છે. જોકે, ગૂગલ મેપ પણ વિવિધ રસ્તાઓ પર ઠેર ઠેર ટ્રાફિક જામ દર્શાવી રહ્યું છે. ગૂગલ મેપ પર ઋષિકેશના રસ્તાઓ પર જામ દર્શાવી રહ્યું છે. જ્યારે દહેરાદૂન, હરદ્વાર, નૈનિતાલ જેવા શહેરોમાં પણ સ્થિતિ લગભગ આવી જ છે.

આ પણ વાંચો: ઉત્તરાખંડના આ મંદિરમાં વિદેશથી આવે છે લોકો લગ્ન કરવા, કારણ જાણીને ચોંકી ઉઠશો…

નૈનિતાલ પોલીસની એડવાઈઝરી

આવી જ હાલત નૈનિતાલની પણ છે. નૈનિતાલથી 18 કિમીના અંતરે આવેલા કૈંચી ધામ ખાતે નીમ કરોરી મહારાજના આશ્રમમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. નૈનિતાલમાં પ્રવાસીઓની ભારે ભીડ અને ટ્રાફિક જામની સ્થિતિને ધ્યાનમાં રાખીને, નૈનિતાલ પોલીસે પ્રવાસીઓ માટે એક એડવાઈઝરી જાહેર કરી છે. આ એડવાઈઝરીમાં કૈંચી ધામ અને નૈનિતાલમાં આવતા પ્રવાસીઓ માટે રૂટ પ્લાન જાહેર કરવામાં આવ્યો છે. આ સાથે જ પોલીસે અનેક સ્થળોએ ભીડ અને ટ્રાફિક અંગેની માહિતી પણ બહાર પાડી છે. પ્રવાસીઓને મુસાફરી પર નીકળતા પહેલા રૂટ પ્લાન જોવાની અપીલ કરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button