હજુ તો ઠાકરે-ભાજપ એક થવાની અટકળો ચાલે છે ત્યારે કૉંગ્રેસ-સેના આમને સામને

મુંબઈઃ વર્ષ 2019માં છુટ્ટા પડેલા ભાજપ અને શિવસેના ફરી એક થાય તેવી શક્યતાઓએ જોર પકડ્યું છે. ભાજપના નેતા અમિત શાહની મહારાષ્ટ્ર મુલાકાત બાદ ફરી મહારાષ્ટ્રના રાજકારણમાં નવાજૂનીના એંધાણ છે. બીજી બાજુ એનસીપીના કાકા-ભત્રીજા પણ એક થાય તેવી ચર્ચા છે. જોકે હજુ તો આ રાજકીય અટકળો ચાલી રહી છે ત્યાં જ મહાવિકાસ આઘાડીના બે પક્ષ કૉંગ્રેસ અને શિવસેના (યુબીટી) વચ્ચે ખટરાગ થયો છે અને વાત પોલીસ સ્ટેશન સુધી પહોંચી છે.
શિવસેનાના નાશિકના ઉપમહાનગર પ્રમુખ બાળા દરાડેએ વિપક્ષના નેતા અને કૉંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને નિશાન બનાવ્યા છે. તેમણે એમ કહ્યું છે કે રાહુલ ગાંધી જો નાશિક આવશે તો અમે તેમનું મોઢું કાળું કરીશું. વીર સાવરકર વિશે રાહુલ ગાંધીના વિચારો છે તેનો વિરોધ કરી તેણે આમ કહ્યું હતું.
આપણ વાંચો: આજથી રસ્તા તથા ફૂટપાથ પરનો કાટમાળ, પેવર બ્લોક હટાવવાની સુધરાઈની ઝુંબેશ
તેના આ નિવેદનનો ભારે વિરોધ કૉંગ્રેસે નોંધાવ્યો છે અને પોલીસ ફરિયાદ પણ કરી છે. કૉંગ્રેસના મહારાષ્ટ્ર પ્રદેશ અધ્યક્ષ હર્ષવર્ધન સકપાલે જણાવ્યું હતું કે આ સાંખી લેવાશે નહીં. રાહુલ ગાંધીએ વીક સાવરકરનું અપમાન નથી કર્યું, માત્ર ઈતિહાસના સંદર્ભો જે લોકો સામે ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા હતા, તે મામલે સ્પષ્ટતા કરી હતી.
આ મામલે બાળા દરાડે સામે પગલાં લેવાની માગણી કૉંગ્રેસે કરી છે.