ઉદ્ધવ ઠાકરે જૂથના વિધાનસભ્યો ક્યાં બેસશે?
![Where will the Uddhav Thackeray Group MLAs sit?](https://bombaysamachar.com/wp-content/uploads/2024/01/DTB-2024-01-11T211941.934.jpg)
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભામાં અધ્યક્ષ રાહુલ નાર્વેકરે વિધાનસભ્યોની અપાત્રતા પિટિશન પર ચુકાદો આપ્યા બાદ હવે એવા સવાલ થઈ રહ્યા છે કે મૂળ શિવસેના તરીકે એકનાથ શિંદેના જૂથને અને વ્હીપ તરીકે ભરત ગોગાવલેને માન્યતા આપી હોવાથી હવે ઉદ્ધવ ઠાકરે જૂથને ક્યાં બેસાડવામાં આવશે એવો સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે. આ બાબતે રાહુલ નાર્વેકરે ગુરુવારે કહ્યું હતું કે મારા માટે શિવસેના વિધિમંડળ પક્ષનું ફક્ત એક જ જૂથ છે.
વિધાનસભામાં ઉદ્ધવ ઠાકરે સાથેના જે વિધાનસભ્યો છે તેમને માટે જગ્યા નિર્ધારિત કરીને આપવામાં આવી છે. તેમણે ત્યાં જ બેસવાનું રહેશે. શિવસેના વિધિમંડળ પક્ષ અત્યારે સરકારમાં સામેલ છે. તેમને માટેની બેસવાની વ્યવસ્થા સત્તાધારી બાંકડા પર જ છે. જો કોઈની અલગ ભૂમિકા હશે તો તે સંદર્ભે નિર્ણય લેવામાં આવશે અને પરિણામો માટે તેઓ પોતે જ જવાબદાર રહેશે, એમ પણ નાર્વેકરે જણાવ્યું હતું.
તેમણે પોતાના ચૂકાદા અંગે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે નિર્ણય લેતી વખતે ત્રણ બાબતોને ધ્યાનમાં લેવામાં આવી હતી. જેમને વ્હીપ લાગુ કરવામાં આવ્યો તેમને રાજકીય પક્ષનું પીઠબળ હતું કે? વ્હીપ બધા સુધી પહોંચ્યો? જે વ્હીપ જારી કરવામાં આવ્યો છે તેમાં આદેશનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે નહીં.
વ્હીપ તરીકે ભરત ગોગાવલેને માન્યતા આપવામાં આવી હોવા છતાં તેમણે બજાવેલો વ્હીપ ઠાકરે જૂથના નેતાને મળ્યો ન હોવાનું સિદ્ધ થતાં ઠાકરે જૂથના વિધાનસભ્યોને ગેરલાયક ઠેરવવામાં આવ્યા નથી, એમ પણ તેમણે સ્પષ્ટ કર્યું હતું.