લોકલ ટ્રેનના પ્રવાસીઓ માટે સમાચારઃ આ લાઇન ૩ મહિના માટે બંધ, જાણો નવી વ્યવસ્થા…

મુંબઈ: પશ્ચિમ રેલવે પર પાંચમી અને છઠ્ઠી લાઇનના કામને ઝડપી બનાવવા માટે ગોરેગાંવથી સીએસએમટી હાર્બર લાઇન પરની ટ્રેનો આગામી ૩ મહિના માટે બંધ રહેશે. આના કારણે મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. બાંદ્રા અને ખાર વચ્ચેના જૂના રેલવે પુલ તોડીને ત્યાં નવી લાઇન બનાવવા માટે આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગોરેગાંવ અને બાંદ્રા વચ્ચેની લોકલ સેવા સતત ૩ મહિના સુધી બંધ રહેશે. આ સમય દરમિયાન, બાંદ્રા અને સીએસએમટી વચ્ચે કેટલીક મર્યાદિત લોકલ ટ્રેનો દોડાવવામાં આવશે, પરંતુ ગોરેગાંવના મુસાફરોએ બાંદ્રા પહોંચવા માટે વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવો પડશે. રેલ્વે વહીવટીતંત્ર આ મોટા પ્રોજેક્ટ માટે લગભગ ૯૬૫ કરોડ રૂપિયા ખર્ચ કરી રહ્યું છે.
વાસ્તવમાં રેલવે મુંબઈ સેન્ટ્રલ અને બોરીવલી વચ્ચે બે નવા ટ્રેક (પાંચમો અને છઠ્ઠો ટ્રેક) નાખવા માંગે છે. આ માટે બાંદ્રા અને ખાર સ્ટેશન વચ્ચેના જૂના રેલવે બ્રિજને તોડવો પડશે. અગાઉ, આ કામમાં છ મહિનાનો સમય લાગવાનો હતો, પરંતુ મુસાફરોને થનારી મુશ્કેલીઓને ઘટાડવા માટે રેલવેએ હવે તેને ૩ મહિનામાં પૂર્ણ કરવાનો પડકાર ઉપાડ્યો છે.
આ નિર્ણયથી લગભગ ૩.૬૨ લાખ મુસાફરોને અસર થશે. આ સમયગાળા દરમિયાન, ગોરેગાંવ-સીએસએમટી રૂટ પર ૮૮ ટ્રિપ્સ અને બાંદ્રા-સીએસએમટી રૂટ પર ૧૦૬ ટ્રિપ્સ પ્રભાવિત થશે.
જોકે, નવો ટ્રેક બનવાથી ચર્ચગેટ અને વિરાર વચ્ચે લોકલ ટ્રેનોની ફ્રીક્વન્સી વધી શકે છે. ઉપરાંત, લાંબા અંતરની ટ્રેનો માટે અલગ ટ્રેક હોવાથી, લોકલ ટ્રેનોને એક્સપ્રેસ માટે રાહ જોવી પડશે નહીં.



