વોડાફોન-આઈડિયાને તાળા લાગશે? કરોડો ગ્રાહકોને અસર થશે; સરકાર સામે હાથ ફેલાવ્યો…

મુંબઈ: સબસ્ક્રાઈબર બેઝના આધારે ભારતની ત્રીજી સૌથી મોટી અને વિશ્વની 12મી સૌથી મોટી ટેલિકોમ્યુનિકેશન કંપની વોડાફોન-આઈડિયા લિમીટેડ(VIL) ખુબ મુશ્કેલ નાણાકીય પરિસ્થિતિમાંથી પસાર થઇ રહી છે. કંપની માટે નાણાકીય વર્ષ 2025-26 પછી ઓપરેશન ચાલુ રાખવું મુશ્કેલ જણાઈ રહ્યું છે. કંપનીએ મદદ માટે સરકાર સમક્ષ ફરી એક વાર હાથ લંબાવ્યો છે.
17 એપ્રિલ, 2025 ના રોજ વોડાફોન-આઈડિયાએ ભારતના ટેલિકોમ વિભાગ(Department of Telecommunications )ને એક પત્ર મોકલીને તાત્કાલિક સહાય માટે માંગ કરી હતી. પત્રમાં કંપનીએ કહ્યું કે જો કોઈ સહાય નહીં મળે તો, કંપની બેઠી નહીં થઇ શકે.
સુપ્રીમ કોર્ટના ચુકાદાની અસર:
સુપ્રીમ કોર્ટે એડજસ્ટેડ ગ્રોસ રેવન્યુ (AGR) અંગે આપેલા ચુકાદા બાદ કંપનીની નાણાકીય સ્થિરતા અને વ્યવસાય ગંભીર અસર થઇ છે. સુપ્રીમ કોર્ટે 19 મેના રોજ વોડાફોન આઈડિયાની AGR લેણાંમાં લગભગ 30,000 કરોડ રૂપિયાની માફી માટેની અરજીને ફગાવી દીધી હતી. ત્યાર બાદ કંપનીના નાણાંકીય બોજમાં વધારો થયો છે. જો સરકાર સહાય નહીં આપે તો VIL તેની AGR ઓબ્લિગેશન પૂર્ણ કરી નહીં શકે, જેના કારણે કંપની સામે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)માં કાર્યવાહી થઇ શકે છે.
કરોડો ગ્રાહકોને થશે અસર:
VIL નું ઓપરેશન બંધ થતાં કંપનીના લગભગ 20 કરોડ યુઝર્સને અસર થઇ શકે છે, જેના કારણે કંપનીને તેમના નંબર્સને અન્ય નેટવર્ક પર પોર્ટ કરવા પડશે. જો આવું થશે તો માર્કેટ કોમ્પિટિશન અને કન્ઝ્યુમર ચોઈસ પર પણ નકારાત્મક અસર પડશે. જો Vi માર્કેટની બહાર થશે તો ભારતીય ટેલિકોમ ક્ષેત્રમાં ડ્યુઓપોલી (Duopoly)સ્થિતિ ઊભી થઈ શકે છે.
VIL તાત્કાલિક ધોરણે AGR મામલાની ઉકેલની માંગ કરી રહી છે, સાથે જ સ્પેક્ટ્રમ મોરેટોરિયમ અને એક્સટેન્શન જેવા પગલાં દ્વારા લિક્વિડિટી સપોર્ટ માટેની તેની વિનંતીને સ્વીકારવાની પણ માંગ કરવામાં આવી રહી છે.
AGR ડ્યુ શું છે
રેવન્યુની ડેફીનેશનમાં મતભેદને કારણે AGR મુદ્દો ઉભો થયો હતો. સરકારનો દાવો છે કે ઓપરેટરોને મુખ્ય ટેલિકોમ સેવાઓ, ડિવિડન્ડ, પ્રોપર્ટી વેચાણમાંથી નફો અને ભાડામાંથી મેળવેલી બધી આવકને રેવન્યુ ગણવામાં આવે છે, ટેલિકોમ ઓપરેટરો સરકારની આ દલીલનો વિરોધ કર્યો હતો. જો કે સુપ્રીમ કોર્ટે સરકારની દલીલ માન્ય રાખી હતી.
વર્ષ 2019માં, સુપ્રીમ કોર્ટે સરકારની તરફેણમાં ચુકાદો આપ્યો હતો અને ટેલિકોમ કંપનીઓ ડ્યુ ચુકવવા આદેશ આપ્યો હતો.સરકારે મોરેટોરિયમ અને AGRની ડેફીનેશન સુધારીને રાહત આપવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ વોડાફોન આઈડિયાનો સંકટમાંથી નીકળી શકી નહીં.
Jio અને BSNL પર AGR મુદ્દાની કોઈ અસર નથી કારણ કે Jio એ વર્ષ 2016 માં બજારમાં પ્રવેશ કર્યો હતો અને તેની બાકી રકમ ચૂકવી દીધી હતી, જ્યારે BSNL એક અલગ માળખા હેઠળ કાર્ય કરે છે.
આપણ વાંચો : સૌથી વધુ સબસ્ક્રાઈબર ધરાવવાની હોડમાં આ કંપનીએ જીઓને પાછળ છોડ્યું