કામચલાઉ શેડ બાંધવા પાલિકાને અરજી કરો: વિલેપાર્લે જૈન દેરાસર ટ્રસ્ટને કોર્ટનો નિર્દેશ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વિલે પાર્લે (પૂર્વ)માં આવેલા શ્રી ૧૦૦૮ દિગંબર જૈન દેરાસર ટ્રસ્ટની ચોમાસામાં કામચલાઉ શેડ બાંધવાની મંજૂરી માગતી અરજી પર કોર્ટે તેમને મુંબઈ મહાનગરપાલિકામાં અરજી કરવાનો બુધવારે નિર્દેશ આપ્યો છે. તેમ જ હાલ દેરાસરનું બાંધકામ જૈસે થે તેવો જ રાખવાના અગાઉના કોર્ટના આદેશ પણ કાયમ રાખ્યો હતો.
વિલે પાર્લેના જૈન દેરાસરમાં ગેરકાયદે બાંધકામ હોવાના દાવા સાથે પાલિકાના કે-પૂર્વ વોર્ડ દ્વારા બાંધકામ તોડી પાડવામાં આવ્યા બાદ તેના પર હાઈ કોર્ટમાં થયેલી સુનાવણી દરમ્યાન બાંધકામ જૈસે થેનો આદેશ કોર્ટે આપ્યો છે. તેથી ચોમાસા દરમ્યાન દેરાસરના બાકી રહેલા બાંધકામને નુકસાન થાય નહીં તે માટે ટ્રસ્ટ દ્વારા આ ભાગને સંરક્ષિત કરી આપવાની માગણી કરી હતી.
આ પણ વાંચો: મુંબઈમાં જૈન દેરાસર તોડી પાડ્યાના વિરોધમાં જૈનો મોટી સંખ્યામાં આવ્યાઃ ઠાકરેએ કરી ટ્વીટ…
તેના પર બુધવારે સીટી સીવિલ કોર્ટમાં થયેલી સુનાવણી દરમ્યાન કોર્ટે કોઈ રાહત આપવાનો ઈનકાર કર્યો હતો. દેરાસરના બાંધકામને જૈસે થે રાખવાનો આદેશ હાઈ કોર્ટે આપ્યો છે, તે આદેશમાં તેમણે દખલગીરી કરવાનો પણ ઈનકાર કરતા કહ્યું હતું કે હાઈ કોર્ટના સ્ટેને અમે હટાવી શું નહીં પણ ચોમાસા માટે તેઓ શેડ બાંધવાની પોતાની માગણી સંદર્ભમાં પાલિકામાં અરજી કરવાની સૂચના આપી હતી.