VHPની ક્રાંતિકારી પહેલ: પૂજા-પાઠ કરાવશે હવે સર્વ સમાજના લોકો…

છત્રપતિ સંભાજીનગરઃ ઘરમાં લગ્ન હોય, સત્યનારાયણની કથા કરાવવી હોય, વાસ્તુપૂજન કરાવવું હોય તો સૌથી પહેલા પૂજારી યાદ આવે. પરંતુ વિશ્વ હિન્દુ પરિષદ (વિહિપ) માને છે કે ગ્રામીણ વિસ્તારોમાં હિન્દુ સંસ્કૃતિ અનુસાર વિવિધ ધાર્મિક વિધિઓ કરવા માટે પુજારીઓની અછત છે. આ અછતને પહોંચી વળવા માટે વિશ્વ હિન્દુ પરિષદે એક નવી પહેલ શરુ કરી છે. હવે, બ્રાહ્મણો ઉપરાંત, અન્ય જાતિના લોકો પણ પૂજાપાઠ કરાવી શકે છે અને પુજારી બની શકે છે. આ માટે વિશ્વ હિન્દુ પરિષદે મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજી નગરથી આ પહેલ શરુ કરી છે.
વિશ્વ હિન્દુ પરિષદે (વિહિપ) દેશમાં પહેલી વાર, સંભાજી નગરમાં 10 દિવસ માટે પુજારી તાલીમ શિબિરનું આયોજન કર્યું હતું. જેમાં બ્રાહ્મણો ઉપરાંત, અન્ય જાતિના લોકોને પુજારી કેવી રીતે બનવું, પૂજા કેવી રીતે કરાવવી, વાસ્તુ પૂજા કેવી રીતે કરવી, લગ્ન કેવી રીતે કરાવવા, હવન કેવી રીતે કરાવવું તેની તાલીમ આપવામાં આવી છે. આ તાલીમ શિબિરમાં 24 લોકોએ ભાગ લીધો હતો, જેમાંથી ફક્ત 8 લોકો બ્રાહ્મણ જાતિના હતા, બાકીના અન્ય જાતિના હતા. આ માહિતી વિશ્વ હિન્દુ પરિષદના મંદિર, મઠ, પુજારી અને પુજારી સંપર્ક પરિમાણના પ્રાદેશિક વડા અનિલ સાંબ્રેએ આપી હતી.
જો તેમના શિક્ષણ વિશે વાત કરીએ તો આ શિબિરમાં 3 લોકોએ 10મું પાસ કર્યું હતું,1 વ્યક્તિએ અગિયારમું પાસ કર્યું હતું, પાંચ લોકો 12મું પાસ કર્યું હતું, 7 સ્નાતક હતા, 5 અનુસ્નાતક હતા અને 1 ડિપ્લોમા ધારકનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રમાં વિશ્વ હિન્દુ પરિષદના પુરોહિત તાલીમ શિબિરમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, ઓબીસી અને બ્રાહ્મણોને પુજારી બનવાની તાલીમ આપવામાં આવી હતી.
વિશ્વ હિન્દુ પરિષદના અનિલ સાંબ્રેએ મીડિયા સાથે ખાસ વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે પુરોહિત તાલીમ વર્ગમાં પૂજાપાઠની વિધિ શું છે, પુજારીઓએ કેવો પોશાક પહેરવો જોઈએ, તેમના વિચારો કેવા હોવા જોઈએ, શ્લોકોનું ઉચ્ચારણ કેવી રીતે કરવું જોઈએ, બ્રાહ્મણોની દિનચર્યા શું હોવી જોઈએ તેની તાલીમ આપવામાં આવી હતી.
શા માટે આ પહેલ શરૂ કરવામાં આવી?
વિશ્વ હિન્દુ પરિષદ માને છે કે ગ્રામીણ વિસ્તારોમાં હિન્દુ સંસ્કૃતિ અનુસાર વિવિધ ધાર્મિક વિધિઓ કરવા માટે પુજારીઓની અછત છે. તાલીમ પામેલા પૂજારીઓ ગામડાઓમાં જઈને પૂજા કરાવશે, આનાથી સમાજમાં સદ્ભાવના વધશે. હિન્દુ સમાજની નવથી 10 જાતિ આ વર્ગમાં જોડાવવા માટે આવી હતી.
વીએચપીના કાર્યકરોએ જણાવ્યું હતું કે આવા વર્ગોમાં બધી જાતિના લોકોનું સ્વાગત છે. આ તાલીમ શિબિર પછી મહારાષ્ટ્રના વિવિધ ભાગોમાંથી પણ આવા જ તાલીમ વર્ગો શરૂ કરવા માટે માંગણીઓ આવવા લાગી છે. વિશ્વ હિન્દુ પરિષદ નાગપુર, અમરાવતી, કોંકણ, કોલ્હાપુરમાં આ પહેલ શરૂ કરવા જઈ રહી છે અને તેમને આશા છે કે વિશ્વ હિન્દુ પરિષદ ભારતના અન્ય રાજ્યોમાં પણ આવી પહેલ કરી શકે છે.
વિશ્વ હિન્દુ પરિષદના અનિલ સાંબ્રેએ કહ્યું કે શક્ય છે કે આ પહેલથી બ્રાહ્મણ સમુદાય નારાજ થાય. પરંતુ આજે પુજારીઓની સંખ્યા એટલી ઓછી છે કે તેઓ સમગ્ર હિન્દુ સમાજની જરૂરિયાતો પૂરી કરી શકતા નથી. નાગપુરમાં પુજારી ઉપલબ્ધ નથી. જો ગણેશ પૂજા દરમિયાન નાગપુરમાં આ સ્થિતિ હોય, તો ગ્રામીણ વિસ્તારોમાં શું હાલત થતી હશે ? ઘણા ગામડાઓ એવા છે જ્યાં બ્રાહ્મણો નથી, પુજારી તો દૂરની વાત છે.