પરિવાર સૂતો હતો ત્યારે અજાણ્યા શખસોએ ઘરને આગ ચાંપી

થાણે: પરિવાર સૂતો હતો ત્યારે દરવાજાને બહારથી કડી લગાવી ઘરને આગ ચાંપવામાં આવી હોવાની ઘટના ઉલ્હાસનગર નજીક બની હતી. પડોશીઓએ સમયસર મદદ કરી પરિવારને બચાવી લીધો હોઈ પોલીસે આ ઘટનાની તપાસ હાથ ધરી હતી.
વિઠ્ઠલવાડી પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર અનિલ પડવળે જણાવ્યું હતું કે ઘટના બુધવારની વહેલી સવારે બની હતી. આ પ્રકરણે ગુનો નોંધી તપાસ કરવામાં આવી રહી છે.
વિઠ્ઠલવાડી પોલીસની હદમાં રહેતા ફરિયાદી વિજય ઢવરેના ઘરને અજાણ્યા શખસોએ આગ લગાવી હતી. ફરિયાદમાં જણાવાયું હતું કે રાજકીય પક્ષ સાથે સંકળાયેલા ઢવરે અને તેનો પરિવાર ઘરમાં સૂતો હતો ત્યારે દરવાજાને બહારથી કડી લગાવવામાં આવી હતી. બાદમાં જ્વલનશીલ પ્રવાહી રેડી દીવાસળી ચાંપવામાં આવી હતી.
આ પણ વાંચો - લોકલ ટ્રેનના મોટરમેનની સજાગતાએ અજાણી વ્યક્તિનો જીવ બચાવ્યો!
ઢવરેના પરિવારે મદદ માટે બૂમો પાડતાં પડોશીઓ દોડી આવ્યા હતા. સમયસર દોડી આવેલા પડોશીઓને કારણે ઢવરે પરિવાર બચી ગયો હતો. જોકે આગમાં ઘરને ખાસ્સું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું હતું. (પીટીઆઈ)