મહારાષ્ટ્રમાં હિન્દીનો નહીં, કડકાઈનો વિરોધ છેઃ ઉદ્ધવ ઠાકરે…
શિવસેના (UBT) એ ફરજિયાત હિન્દી વિરુદ્ધ GR ની નકલો બાળી, મરાઠીને અન્યાય થતો હોવાનો દાવો

મુંબઈ: મહારાષ્ટ્રમાં ત્રિભાષાનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે આજે શિવસેના (યુબીટી)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે તેમનો પક્ષ હિન્દી ભાષાનો વિરોધ નથી કરતો, પરંતુ માત્ર તેની સખ્તાઈથી અમલનો વિરોધ કરે છે. દક્ષિણ મુંબઈમાં સારી સંખ્યામાં હાજર રહેલા લોકોની હાજરીમાં થયેલા વિરોધ કાર્યક્રમમાં શાળાઓ માટે ત્રણ ભાષાની નીતિ અંગેના ૧૭ જૂનના સરકારના ઠરાવની નકલો સળગાવવામાં આવ્યા બાદ તેઓ સંવાદદાતાઓ સાથે વાત કરી રહ્યા હતા. શિવસેના (યુબીટી)એ રાજ્યભરમાં પણ આ પ્રકારનું વિરોધ પ્રદર્શન કર્યું હતું.
ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે ‘અમે જીઆર (સરકારી ઠરાવ)ની નકલો સળગાવી દીધી છે. મતલબ કે અમે તેને સ્વીકારતા નથી. અમે હિન્દીનો વિરોધ નથી કરતા પરંતુ અમે તેના સખ્તાઈથી અમલ માટે મંજૂરી નહીં આપીએ. સરકારને મોરચા પાછળનું કારણ સમજાતું નથી. મરાઠીને અન્યાય થયો છે. સવાલ એ છે કે વિદ્યાર્થીઓ સાથે કેટલી સખતાઈ થવાની છે, એમ તેમણે જણાવ્યું હતું.
ભૂતપૂર્વ મુખ્ય પ્રધાને એમ પણ કહ્યું હતું કે તેમનો પક્ષ અને રાજ ઠાકરેના નેતૃત્વવાળી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) દ્વારા સંયુક્ત રીતે આ મુદ્દે આયોજિત 5 જુલાઈનો મોરચો ભવ્ય હશે. 17 જૂને મહારાષ્ટ્ર સરકારે એક જીઆર બહાર પાડ્યો હતો, જેમાં અંગ્રેજી અને મરાઠી માધ્યમની શાળાઓમાં ધોરણ 1 થી 5 માટે હિન્દીને ત્રીજી ભાષા વૈકલ્પિક સ્વરૂપે બનાવવામાં આવી હતી, ફરજિયાત નહીં. (પીટીઆઈ)
આપણ વાંચો : મુખ્ય મુદ્દા પરથી લોકોનું ધ્યાન હટાવવા માટે ભાષા વિવાદ ઉભો કરાયો: પૃથ્વીરાજ ચવ્હાણ…