ઉદ્ધવ ઠાકરેના દાવાથી રાજકારણમાં ખળભળાટ: ‘ભાજપના એક નેતાએ મને EVM હેક કેમ થાય તે બતાવ્યું’

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને શિવસેના યુબીટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ આજે ભાજપના એક નેતાનો ઉલ્લેખ કરીને ચોંકાવનારો દાવો કર્યો છે. ભાજપના નેતાનું નામ લીધા વિના તેમણે કહ્યું કે જ્યારે અમારી પાર્ટી ભાજપ સાથે ગઠબંધનમાં હતી, ત્યારે ભાજપના એક નેતાએ મને કહ્યું હતું કે EVM કેવી રીતે હેક થાય છે.
જોકે તેઓ હવે નેતા નથી, તેઓ હજુ પણ ભાજપમાં છે.ઉદ્ધવના આ સ્પષ્ટ આરોપથી રાજ્યના વાતાવરણમાં ગરમાટો આવી ગયો છે, પરંતુ તેમણે નામ લેવાનું ટાળ્યું હોવાથી તેમના આરોપ અંગે શંકા ઉપસ્થિત થવાને સ્થાન છે. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, ‘શિવસેના યુબીટીએ સમગ્ર મહારાષ્ટ્રમાં વિરોધ પ્રદર્શન કર્યા.
ભ્રષ્ટ નેતાઓ પાસેથી જવાબ માંગવા માટે લોકો રસ્તા પર ઉતર્યા. અમે મુખ્ય પ્રધાન અને રાજ્યપાલને બધા પુરાવા આપ્યા છે, પરંતુ કોઈ સાંભળવા તૈયાર નથી. આ સરકારની અક્ષમતા દર્શાવે છે.’ વિપક્ષના સાંસદોએ આજે સંસદથી ચૂંટણી પંચ કાર્યાલય સુધી કૂચ કરવાનો પ્રયાસ કર્યો. આ દરમિયાન, ખૂબ જ હંગામો થયો.
પોલીસે બધા સાંસદોને કસ્ટડીમાં લીધા અને સંસદ માર્ગ થઈને પોલીસ સ્ટેશન લઈ ગયા, પછી તેમને છોડી મૂક્યા. આ મામલે ઠાકરેએ કહ્યું કે, “અમે જવાબ માંગવા જઈ રહ્યા હતા, પરંતુ અમારા લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા, જે લોકશાહી પર કલંક છે, સરકારે આજે તેના પર કલંક લગાવી દીધું છે.”
ઠાકરેએ વધુમાં કહ્યું કે બિહારમાં મતદારોના નામ કાપવામાં આવ્યા છે. હવે સુપ્રીમ કોર્ટ પણ ચૂંટણી પંચનું નામ લેવા તૈયાર નથી. શું ચૂંટણી કમિશનર સુપ્રીમ કોર્ટ કરતા મોટા છે? હવે જોઈશું કે સુપ્રીમ કોર્ટ શું નિર્ણય લે છે? ભાજપે મત ચોરી લીધા છે, જે હવે ખુલ્લું પડી રહ્યું છે. હવે મતદારોને તેમની ઓળખ બતાવવા માટે કહેવામાં આવી રહ્યું છે. આ એક પ્રકારની લૂંટ છે.’
આ પણ વાંચો…ઉદ્ધવ ઠાકરેએ જનાદેશ ચોરી લીધો, તેથી લોકોએ ઘરે બેસાડ્યા: દેવેન્દ્ર ફડણવીસનો ઉદ્ધવને જવાબ