મુંબઈ એરપોર્ટ પર વિચિત્ર ઘટના: ફ્લાઈટ પકડવા પ્રવાસીએ રન-વે પર દોડ મૂકી….

મુંબઈઃ શહેરમાં તમે રોજિંદા કામ માટે મોડા પડી રહ્યા હો અને તમારે બસ કે ટ્રેન પકડવાની ઉતાવળ હોય તો તમે શું કરો? બસ સ્ટોપ પર આવેલી બસ કે સ્ટેશન પર આવેલી ટ્રેન ચાલુ થયા પછી પણ તમે દોડીને પકડી લો! આવું દ્રશ્ય શહેરમાં રોજનું છે. પણ કોઈ તમને કહે કે ફ્લાઇટ પકડવામાં મોડા પડીએ તો દોડીને પકડી લેવાની, તો કેવી હાસ્યાસ્પદ વાત લાગે!
પણ તાજેતરમાં મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ખરેખર આવો અજીબોગરીબ કિસ્સો બન્યો હતો. મુંબઈમાં રહેતો બિહારી બાબુ પિયુષ સોની, મુંબઈથી પટના જનારી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI 673 પકડવામાં મોડો પડ્યો તો રન-વે પર ફ્લાઈટની પાછળ દોડ્યો હતો. જાણે એસટીની બસ ન હોય!
મળતી માહિતી મુજબ બિહારના દરભંગાનો રહેવાસી પીયૂષ પવન સોની કોઈને જાણ કર્યા વિના ઇમરજન્સી ગેટનો ઉપયોગ કરીને રનવે પર પહોંચ્યો હતો. તેને ખબર નહોતી કે તેની ફ્લાઇટ AI 673 કયા ગેટ નંબર અથવા રનવે પર પાર્ક કરેલી છે, જેના કારણે તે ભૂલથી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI 602 નજીક પહોંચી ગયો, જે ભુજથી પરત ફરી રહી હતી.
જોકે, તે સવારે 9:50ના નિર્ધારિત બોર્ડિંગ સમય કરતાં મોડો હોવાથી યોગ્ય દરવાજે જવાનો સમય તેની પાસે રહ્યો જ નહોતો. પરિણામે તેણે ફ્લાઇટ પાછળ દોડ લગાવી હતી. મોડા પડેલા પ્રવાસીની આ હરકતથી એરપોર્ટ પર અફરાતફરી મચી ગઈ હતી અને સુરક્ષા કર્મચારીઓ એલર્ટ થઈ ગયા હતા.
એરપોર્ટ સત્તાવાળાઓએ તાત્કાલિક તેની અટકાયત કરી અને તેને મુંબઈ પોલીસને સોંપી દીધો. સોની વિરુદ્ધ એરક્રાફ્ટ એક્ટની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ દ્વારા નોંધાયેલી FIR મુજબ જ્યારે એરપોર્ટ અધિકારીઓએ સોનીને પૂછ્યું કે તે રનવે પર કેવી રીતે પહોંચ્યો ત્યારે તેણે કહ્યું કે એક બસ ડ્રાઇવરે તેને ત્યાં આવવા દીધો અને એરપોર્ટ અધિકારીઓને કહ્યું કે ફ્લાઇટનો પાઇલટ તેને ત્યાં છોડી ગયો હતો.
આ પણ વાંચો - ગણેશોત્સવમાં કોંકણ જનારા પ્રવાસીઓ માટે સારા સમાચાર! આવતીકાલથી બુકિંગ શરૂ
જોકે, તેમના નિવેદનમાં વિસંગતતા જોવા મળતાં તેમને મુંબઈ પોલીસને સોંપવામાં આવ્યા હતા. એર ઈન્ડિયાના કર્મચારીઓની ફરિયાદના આધારે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે.