દાદર સ્ટેશનની કાયાપલટઃ મધ્ય રેલવેમાં વધુ એક પ્લેટફોર્મ ‘ડબલ ડિસ્ચાર્જ’ બનાવાશે

મુંબઈ: મુંબઈ લોકલ અને સ્ટેશન પરની ભીડ ઓછી કરવા માટે રેલવે પ્રશાસન દ્વારા ઘણા પગલાં લેવાય છે. તેમ છતાં ગરદી દિવસે દિવસે વધતી જ રહે છે. મુંબઈના ગીચ સ્ટેશનમાંના એક દાદર એ મધ્ય રેલવે અને પશ્ચિમ રેલવેને જોડતું સ્ટેશન છે.
દાદર જંકશન હોવાથી લાંબા અંતરની ટ્રેનો પણ દાદર સ્ટેશન પર ઉભી રહે છે. જેના કારણે પ્લેટફોર્મ પર ભારે ભીડ જોવા મળી રહી છે. સ્ટેશનમાં કોઈ સમસ્યા સર્જાય નહીં તેના માટે મધ્ય રેલવેએ પ્લેટફોર્મ પહોળું કરવાની કામગીરી હાથ ધરી હતી, તેનાથી દાદર સ્ટેશનમાં ભીડ ઓછી થશે.
મધ્ય રેલવેએ હાલના પ્લેટફોર્મ નંબર ૧૦ને ડબલ ડિસ્ચાર્જ પ્લેટફોર્મ તરીકે રૂપાંતરિત કર્યું છે. જેથી હવે લોકલ પકડવા માટે બંને બાજુથી ચડવા-ઉતરવું શક્ય છે. ડબલ ડિસ્ચાર્જ પ્લેટફોર્મને કારણે દાદર સ્ટેશન પર સાંજના સમયે ભીડ ઝડપથી ઓછી થશે.
આ પણ વાંચો: ચૂંટણી વખતે દાદરના શિવાજી પાર્કની ‘લાલ માટી’નો મુદ્દો ગાજ્યો
મુંબઈના દાદર સ્ટેશનથી દરરોજ લગભગ ૧૫૦ ફાસ્ટ લોકલ અને એક્સપ્રેસ ટ્રેનો ઉપડે છે. ક્યારેક લોકલ પકડતા મુસાફરો અને લાંબા અંતરની એક્સપ્રેસમાંથી ઉતરતા મુસાફરોનો ધસારો જોવા મળે છે.
આ પરિસ્થિતિને ટાળવા માટે મધ્ય રેલવેએ મુસાફરોને ટ્રેનની બંને બાજુથી ચઢવા અને ઉતરવામાં મદદ કરવા માટે ડબલ ડિસ્ચાર્જ પ્લેટફોર્મ બનાવવાનો નિર્ણય લીધો છે. પ્લેટફોર્મ ૧૦-૧૧ના હોમ પ્લેટફોર્મમાં રૂપાંતરએ પ્રવાસીઓની સુવિધા વધારવાની દ્રષ્ટિએ એક મહત્વપૂર્ણ પગલું છે. આના કારણે સ્ટેશન પર ભીડ પણ ઓછી થશે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.