ધારાવીની જમીન અદાણી જૂથને નહીં સરકારી વિભાગોને ટ્રાન્સફર; અદાણી માત્ર ડેવલપર છે: સૂત્રો

મુંબઈ: કરોડો રૂપિયાના ધારાવી ઝૂંપડપટ્ટીના પુન:વિકાસ પ્રોજેક્ટમાં અદાણી જૂથને કોઈ જમીન ટ્રાન્સફર કરવામાં આવી નથી, પરંતુ મહારાષ્ટ્ર સરકારના વિભાગોને જમીન હસ્તાંતરિત કરવામાં આવી છે અને અમદાવાદ સ્થિત અદાણીના નેતૃત્વ હેઠળનો સમૂહ પ્રોજેક્ટ ડેવલપર તરીકે આ સ્થળે મકાનો બાંધશે અને એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટીના રહેવાસીઓને ફાળવણી માટે વિભાગોને સોંપી દેવામાં આવશે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
સાંસદ વર્ષા ગાયકવાડ દ્વારા કરવામાં આવેલા જમીન હડપવાના આરોપોને નકારી કાઢતા પ્રોજેક્ટ સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે જમીન રાજ્ય સરકારના ગૃહનિર્માણ વિભાગ હેઠળ આવતા ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ/સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટી (ડીઆરપી/એસઆરએ)ને ટ્રાન્સફર કરવામાં આવશે.
ઓપન ઈન્ટરનેશનલ બિડિંગમાં ધારાવી સ્લમ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ મેળવનારા અદાણી ગ્રૂપ તેની મહારાષ્ટ્ર સરકાર સાથેની સંયુક્ત સાહસ કંપની ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ પ્રાઈવેટ લિમિટેડ (ડીઆરપીપીએલ) દ્વારા ટેનેમેન્ટ્સ-હાઉસિંગ અને કોમર્શિયલ ગાળાનું નિર્માણ કરશે અને તેને ફરીથી ડીઆરપી/એસઆરએને સોંપશે. સર્વેક્ષણના તારણો મુજબની ફાળવણી મહારાષ્ટ્ર સરકારની એજન્સીઓ દ્વારા કરવામાં આવશે. (પીટીઆઈ)