KBCમાં દેશની ત્રણ બહાદુર વિરાંગનાઓ જોવા મળશે, પ્રોમો જોઈ થઈ જશો ભાવુક! | મુંબઈ સમાચાર

KBCમાં દેશની ત્રણ બહાદુર વિરાંગનાઓ જોવા મળશે, પ્રોમો જોઈ થઈ જશો ભાવુક!

મુંબઈ: પ્રખ્યાત ક્વિઝ શો ‘કૌન બનેગા કરોડપતિ’ તેના 17મા સીઝન સાથે ફરી એક વખત દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ સીઝનની શાનદાર શરૂઆત પછી, આગામી સ્વતંત્રતા દિવસ માટે વિશેષ એપિસોડ બનાવવામાં આવ્યો છે.

આ વિશેષ એપિસોડમાં દેશની ત્રણ બહાદુર મહિલા સૈન્ય અધિકારીઓ – કર્નલ સોફિયા કુરેશી, વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ અને કમાન્ડર પ્રેરણા દેવસ્થલી – હોટ સીટ પર જોવા મળશે. તાજેતરમાં જાહેર થયેલા પ્રોમોમાં તેઓ હોસ્ટ અમિતાભ બચ્ચન સાથે ઓપરેશન સિંદૂર જેવા મહત્વના સૈન્ય અભિયાન વિશે વાત કરતી જોવા મળી હતી, જે દર્શકોમાં ઉત્સાહ વધારી રહ્યો છે.

આપણ વાંચો: ‘કૌન બનેગા કરોડપતિ’ની નવી સીઝનનો પ્રારંભ: જોઈ લેજો અમિતાભ બચ્ચનનો નવો અંદાજ!

આ સ્પેશિયલ એપિશોડમાં ત્રણ મહિલા અધિકારીઓ ઓપરેશન સિંદૂરના અનુભવો શેર કરી રહી છે, જે કાશ્મીરમાં આતંકી હુમલાના જવાબમાં ભારતીય સેના દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી હતી. કર્નલ સોફિયા કુરેશીએ જણાવ્યું કે આ અભિયાન પહલગામમાં આતંકીઓએ નિર્દોષ પર્યટકો પર કરેલા હુમલાના પગલે શરૂ કરવામાં આવ્યું હતું.

તેઓએ કહ્યું કે પાકિસ્તાનના વારંવારના હુમલાઓને કારણે કડક જવાબ આપવો જરૂરી હતો, અને આ ઓપરેશન નવા ભારતની નવી વિચારધારાનું પરિણામ છે. આ વાતચીતે શોના વાતાવરણને ગંભીર અને પ્રેરણાદાયી બનાવ્યું છે.

વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે અભિયાનની સમયમર્યાદા વિશે વાત કરી અને જણાવ્યું કે રાત્રે 1:05 વાગ્યેથી 1:30 વાગ્યા સુધી માત્ર 25 મિનિટમાં આ મિશન પૂર્ણ કરવામાં આવ્યું હતું.

આપણ વાંચો: કૌન બનેગા કરોડપતિમાં Amitabh Bachchanને રિપ્લેસ કરશે Salman Khan?

તો કમાન્ડર પ્રેરણા દેવસ્થલીએ મિશનની સફળતા અને ભારતીય સેનાની માનવતા પ્રત્યેની પ્રતિબદ્ધતા પર પ્રકાશ પાડ્યો, જણાવ્યું કે તમામ લક્ષ્યોને તોડી પાડવામાં આવ્યા પરંતુ કોઈ સામાન્ય નાગરિકને કોઈ નુકસાન ન પહોંચ્યું.

આ વાતો સાંભળીને અમિતાભ બચ્ચને ભાવુક થઈને ‘ભારત માતા કી જય’ના નારા લગાવ્યા, આ ઘટનાએ શોના સેટના વાતાવરણને દેશભક્તિમય બનાવ્યું.

‘કૌન બનેગા કરોડપતિ સીઝન 17’ની શરૂઆત 11 ઓગસ્ટે થઈ હતી, જેમાં અમિતાભ બચ્ચને તેમની ભાવનાત્મક કવિતાથી શોનું ઉદ્ઘાટન કર્યું. આ સીઝનમાં ઘણા નવા ઇનોવેશન અને રાઉન્ડ્સ ઉમેરવામાં આવ્યા છે, જેના કારણે દર્શકોમાં વધુ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

આપણ વાંચો: ક્લેપ એન્ડ કટ-હેં….શહેનશાહની જગ્યાએ ભાઈજાન બનાવશે કરોડપતિ?

આ સીઝન માત્ર મનોરંજનનું માધ્યમ જ નથી, પરંતુ દેશની વાસ્તવિક વીરાંગનાઓની બહાદુરીને મંચ આપીને તેમને સન્માનિત કરવાનું કામ પણ કરી રહ્યું છે, જે દર્શકોને પ્રેરણા આપે છે.

ઓપરેશન સિંદૂર 7 મેના રોજ કરવામાં આવ્યું હતું, જે પાકિસ્તાન વિરુદ્ધ ભારતીય સેનાની તીવ્ર જવાબી કાર્યવાહી તરીકે જોવામાં આવે છે. પહલગામમાં આતંકી હુમલાના જવાબમાં સેનાએ પાકિસ્તાનમાં છુપાયેલા નવ અલગ-અલગ આતંકી અડ્ડાઓને નિશાન બનાવીને તેમને સંપૂર્ણપણે નાશ કર્યો હતો.

આ કાર્યવાહી પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાર દિવસ સુધી સૈન્ય તણાવ રહ્યો, જે 10 મેના રોજ યુદ્ધવિરામ કરાર પછી શાંત થયો. મીડિયા બ્રીફિંગમાં કર્નલ સોફિયા અને વિંગ કમાન્ડર વ્યોમિકાએ આ અભિયાનની વિગતો જાહેર કરી હતી, જેમાં સેનાની કુશળતા અને તાકાતનું પ્રદર્શન થયું.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button