મહાયુતિની લહેર, પણ દહાણુમાં સામ્યવાદી પક્ષનો દસમો વિજય

પાલઘર: કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્ક્સવાદી)ના ઉમેદવાર વિનોદ નિકોલે પાલઘર જિલ્લાની દહાણુ (અનુસૂચિત જનજાતિ અનામત) વિધાનસભા બેઠક પર પાંચ હજાર 133 મતના તફાવતથી વિજય મેળવ્યો છે.
તેમણે ભારતીય જનતા પાર્ટીના વિનોદ સુરેશ મેધાને હરાવ્યા હતા. 1978 પછી સીપીઆઈ(એમ)એ આ બેથલ પર 10મી વખત જીત મેળવી છે. વર્ષ 2009માં સીમાંકન પહેલા આ બેઠક જવાહર (એસટી) તરીકે ઓળખાતી હતી અને હવે દહાણુ (એસટી) બેઠકની રચના કરવામાં આવી છે.
સીપીઆઇ(એમ)ના નેતા અશોક ઢવળેએ જણાવ્યું હતું કે મહાયુતિની લહેર વચ્ચે તમામ અવરોધો સામે દહાણુ બેઠક જીતવી એ એક નોંધપાત્ર સિદ્ધિ છે. તેનો શ્રેય દહાણુ અને તલાસરી તહસીલના લોકો અને વિવિધ ડાબેરી સંગઠનોના કામદારોને જાય છે. સીપીઆઇ(એમ) કોંગ્રેસ, એનસીપી (સપા) અને શિવસેના (યુબીટી)ના વિપક્ષ મહા વિકાસ આઘાડીનો એક સાથી પક્ષ છે.
આપણ વાંચો: શ્રીલંકામાં રાષ્ટ્રપતિ બનેલા માર્ક્સવાદી અને ચીન સમર્થક ‘AKD’ની કર્મકુંડળી જાણો
મતગણતરી કેન્દ્ર બહાર પોલીસનો લાઠીચાર્જ
છત્રપતિ સંભાજીનગર જિલ્લાના સિલ્લોડ વિધાનસભા મતક્ષેત્રમાં શનિવારે મતગણતરી કેન્દ્ર બહાર બે હરીફ શિવસેનાના ઉમેદવારોના મોટી સંખ્યામાં એકઠા થયેલા સમર્થકો સામસામે આવી જતા પોલીસને હળવો બળપ્રયોગ કરવો પડ્યો હતો.
પોલીસ શનિવારે સાંજે પરિસ્થિતિને નિયંત્રણમાં લેવાના પ્રયાસ કરી રહી હતી ત્યારે આ ઘટના બની હતી.
મતગણતરી ચાલી રહી હતી ત્યારે બંને ઉમેદવારોના સમર્થકો કેન્દ્રની બહાર એકઠા થઇ ગયા હતા. ત્યાં કોઇ અનિચ્છનીય ઘટના ન બને એ માટે પોલીસે સમર્થકોને વિખેરવા તેમના પર હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો.
(પીટીઆઈ)
આપણ વાંચો: વસઈ-વિરારમાં ઠાકુર યુગનો અંત?