રેલવેના પ્રવાસીઓની સમસ્યા ઘટતી નથી, જાણો આજે શું થયું?

મુંબઈઃ મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેન સેવાઓની સમસ્યાઓ અટકવાનું નામ નથી લઈ રહી. ગઈકાલે સેન્ટ્રલ લાઇન પર પડી જવાથી કેટલાક મુસાફરોના મૃત્યુ થયા હતા, ત્યારે આજે મેઈન લાઈન અને હાર્બર લાઈનમાં ટેક્નિકલ સમસ્યાને કારણે પ્રવાસીઓને લોકલ ટ્રેનમાં ટ્રાવેલ કરવામાં અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સવારે ડોંબિવલીમાં અનેક ટ્રેનો રદ્દ કરવામાં આવ્યા પછી પ્રવાસીઓને પરાણે એસી લોકલમાં ટ્રાવેલ કરવાની ફરજ પડી હતી, પરંતુ ખીચોખીચ ભરેલી ટ્રેનમાં પ્રવાસી ચઢી શક્યા નહીં એનો વીડિયો વાઈરલ થયો હતો, ત્યાર બાદ બપોરે મેઈન લાઈનમાં પણ લોકલ ટ્રેનના પેન્ટોગ્રાફમાં ટેક્નિકલ સમસ્યા પછી ટ્રેનને રદ કરતા પ્રવાસીઓ રખડી પડ્યા હતા.
મુમ્બ્રામાં અકસ્માત પછીના બીજા દિવસે એક પ્રવાસી દ્વારા શેર કરાયેલા વીડિયોમાં ડોમ્બિવલી સ્ટેશન પર પહેલેથી જ ભરેલી ટ્રેનમાં લોકો પ્રવેશવા માટે પ્રયત્ન કરતો જોવા મળ્યો હતો, પરંતુ ભીડને કારણે એર-કન્ડિશન્ડ લોકલ ટ્રેનનો દરવાજો બંધ થઈ શકતો નથી, જેથી ટ્રેન સ્ટેશન પર અટકી ગઈ છે. વીડિયોમાં રેલવે સુરક્ષા દળના કર્મચારીઓ પરિસ્થિતિને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યા હોય તેવું જોવા મળે છે.
@ChougleKhalid નામના એકાઉન્ટ પરથી પોસ્ટ કરાયેલ આ વીડિયોમાં લોકલ ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરી રહેલા મુસાફરો જોવા મળે છે. પ્રવાસીએ કેપ્શનમાં લખ્યું, “ભીડને કારણે મુંબઈ લોકલમાં ચાર લોકોના મોત થયાના એક દિવસ પછી ડોમ્બિવલીમાં નિયમિત લોકલ ટ્રેન રદ કરવામાં આવ્યા બાદ મુસાફરો બળજબરીથી એસી લોકલ ટ્રેનમાં ઘૂસી રહ્યા છે. પીકઅવર્સમાં ટ્રેનમાં ટ્રાવેલ કરવામાં સામાન્ય પ્રવાસીને મુશ્કેલી પડી રહી છે તો પછી સિનિયર સિટિઝન હોય કે વૃદ્ધ મહિલા તેમ જ બાળકો સહિત પરિવારની શું સ્થિતિ હશે એમ પ્રવાસી સંગઠને સવાલ કર્યો હતો.
દાદરમાં બપોરના 2.14 વાગ્યાના સુમારે સીએસએમટી જનારી લોકલ ટ્રેનના પેન્ટોગ્રાફમાં સ્પાર્ક થવાને કારણે ટ્રેનને રોકી દેવામાં આવી હતી. દસ મિનિટ ટ્રેનને રોકી દેવામાં આવ્યા પછી ટ્રેનને રદ કરવામાં આવી હતી. નોન-પીક અવર્સમાં ટ્રેનસેવા પર અસર પડી હતી, જેમાં ફાસ્ટ અને સ્લો કોરિડોરની ટ્રેનોને રોકતા બપોર પછી તમામ ટ્રેનો મોડી દોડતી હતી.
સવારે 8 વાગ્યે નેરુળ સ્ટેશન નજીક સિગ્નલમાં ટેકનિકલ ખામી સર્જાતાં હાર્બર લાઇન પર ટ્રેન સેવાઓ એક કલાકથી વધુ સમય માટે ખોરવાઈ ગઈ હતી. આની સીધી અસર પીક અવર્સ દરમિયાન મુસાફરી કરતા હજારો મુસાફરો પર પડી હતી. સ્ટેશન પર ભારે ભીડ થઈ ગઈ હતી અને લોકોને મુસાફરીમાં મુશ્કેલી પડી રહી હતી. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, વાશીથી કેટલીક ખાસ સેવાઓ શરૂ કરવામાં આવી હતી, પરંતુ તે પણ મુસાફરોની સંખ્યા સામે અપૂરતી સાબિત થઈ હતી.
આ પણ વાંચો - મુમ્બ્રા દુર્ઘટના પછી ‘ઓટોમેટિક ડોરવાળી ટ્રેન’ દોડાવવાનો નિર્ણય, ક્યારે શરૂ થશે?
સવારે થયેલી આ ટેકનિકલ ખામીને કારણે બંને લાઇન પર મુસાફરી કરતા લોકો સમયસર ઓફિસ પહોંચી શક્યા નહોતા અને ઘણા મુસાફરોએ પોતાના ગંતવ્ય સ્થાને પહોંચવા માટે પરિવહનના વૈકલ્પિક માધ્યમોનો આશરો લેવો પડ્યો હતો.
હાર્બર અને ટ્રાન્સ હાર્બર લાઇન પર દરરોજ 25 લાખથી વધુ મુસાફરો મુસાફરી કરે છે. હાર્બર લાઇન રાયગઢ જિલ્લાના પનવેલથી મુંબઈના CSMT(છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ) સુધી જાય છે, જે નવી મુંબઈને દક્ષિણ મુંબઈ સાથે જોડે છે. જયારે ટ્રાન્સ હાર્બર લાઇન પનવેલથી થાણે સુધી ચાલે છે, જે નવી મુંબઈને થાણે સાથે જોડે છે.
પ્રવાસીઓનું કહેવું છે કે તેઓ છેલ્લા કેટલાક દિવસોથી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. મુસાફરોની સલામતી અને સુવિધા માટે રેલવેએ ઝડપી કેટલાક નક્કર પગલાં લેવાની જરૂર છે, નહીં તો “મુંબઈની લાઈફલાઈન” તરીકે ઓળખાતી લોકલ ટ્રેનમાં મુસાફરી કરવી મુસાફરો માટે રોજિંદો પડકાર બની જશે.