આમચી મુંબઈમહારાષ્ટ્ર
રાજ્યના બે નાયબ મુખ્ય પ્રધાનની પસંદગીની પેટર્ન હવે ગ્રામ પંચાયત સ્તરે પહોંચી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર રાજ્યની કેબિનેટમાં બે નાયબ મુખ્ય પ્રધાન છે. આ જ પદ્ધતિનો આશરો હવે ગ્રામ પંચાયત સ્તરે લેવામાં આવી રહ્યો હોવાનું જોવા મળી રહ્યું છે. આંબેગાંવ તાલુકાની જારકરવાડી ગ્રામ પંચાયતમાં બે ઉપસરપંચ રાખવાની માગણી સભ્યો દ્વારા કરવામાં આવી રહી છે. આ બાબતનું ફરફરિયું પણ તેમણે કાઢ્યું હતું. તેમની માગણીને ધ્યાનમાં રાખીને સરપંચે બે ઉપસરપંચની નિયુક્તિ કરી છે.
સરપંચ પ્રતિક્ષા કલ્પેશ બઢેકરે 23 નવેમ્બરના રોજ ગ્રામ પંચાયત ચૂંટણીના નિયમોની જોગવાઈને આધારે ઉપસરપંચ તરીકે કૌશલ્યા સંતોષ ભોજને અને સચિન બાપુ ટાવરેની નિયુક્તિ કરી હતી અને તેને માટે સરપંચે રાજ્ય સરકારમાં બે નાયબ મુખ્ય પ્રધાન હોવાનો દાખલો આપ્યો હતો.
હવે રાજ્યની અન્ય ગ્રામ પંચાયતોમાં પણ આવી રીતે બે બે ઉપસરપંચ નિયુક્ત થવાની શક્યતા જોવાઈ રહી છે.