બળાત્કાર-હત્યા કેસના આરોપીએ પોલીસ કસ્ટડીમાં કરી આત્મહત્યા
![The accused in the rape-murder case committed suicide in police custody](https://bombaysamachar.com/wp-content/uploads/2024/06/accused-in-the-rape-murder-case.webp)
ચંદ્રપુર: ચંદ્રપુર જિલ્લામાં બળાત્કાર અને હત્યાના કેસમાં ધરપકડ કરાયેલા આરોપીએ પોલીસ કસ્ટડીમાં આત્મહત્યા કરી હતી. વારોરા પોલીસ સ્ટેશનના ટોઇલેટમાં સમાધાન કોલી (20) રવિવારે સવારે 8.30 વાગ્યે ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો.
આનંદવન વિસ્તારમાં 26 જૂને ગર્લફ્રેન્ડ આરતી ચંદ્રવંશી પર કથિત બળાત્કાર ગુજારવા અને તેની હત્યા કરવા બદલ સમાધાનની ધરપકડ કરવામાં આવી હતી અને તેને 4 જુલાઇ સુધીની પોલીસ કસ્ટડી ફટકારવામાં આવી હતી.
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર સમાધાન ટોઇલેટમાં ગયો હતો અને તેણે બૂટની રસ્સી દરવાજાને બાંધીને ગળાફાંસો ખાધો હતો. અમે આ પ્રકરણે પહેલેથી જ ખાતાકીય તપાસ શરૂ કરી છે. ફરજમાં બેદરકારી દાખવનારા પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે. અમે જરૂરી ઔપચારિકતા પૂરી કર્યા બાદ આ કેસ સીઆઇડીને સોંપશું.
આ પણ વાંચો: Vasai Murder Case: ગર્લફ્રેન્ડની હત્યા કરવા પહેલાં આરોપીએ બે વખત આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો
આનંદવન વિસ્તારમાં 26 જૂને આરતી ચંદ્રવંશીનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. તેના પર તીક્ષ્ણ હથિયારના અનેક ઘા ઝીંકવામાં આવ્યા હતા. પોલીસે આ પ્રકરણે ગુનો દાખલ કરીને તપાસ આદરી હતી અને બીજે દિવસે સમાધાનની ધરપકડ કરાઇ હતી.
તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપીએ ઓનલાઇન ચાકુ ખરીદ્યું હતું અને આરતી ઘરમાં એકલી હતી ત્યારે તેણે તેના પર હુમલો કર્યો હતો. (પીટીઆઇ)