આમચી મુંબઈ

થાણેના બિલ્ડરને ઓછા વ્યાજ દરે બિઝનેસ લોન અપાવવાને બહાને 2.7 કરોડની ઠગાઇ

થાણે: થાણેના બિલ્ડરને ઓછા વ્યાજ દરે બિઝનેસ લોન અપાવવાના બહાને 2.7 કરોડ રૂપિયાનો ચૂનો ચોપડવામાં આવ્યો હતો, જેને પગલે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવતાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

અંબરનાથ વિસ્તારમાં રહેતો 68 વર્ષનો બિલ્ડર પોતાના બે પુત્ર સાથે બાંધકામ વ્યવસાય ધરાવે છે. બિલ્ડરને પચીસ કરોડ રૂપિયાની જરૂર હતી અને બિલ્ડરના ઓળખીતાએ તેની મુલાકાત આરોપી સાથે કરાવી આપી હતી, જે નાશિકનો રહેવાસી છે.

આ પણ વાંચો: નિવૃત્ત પોલીસ કર્મચારી સાથે 19 લાખની ઠગાઇ: સાત વિરુદ્ધ ગુનો

શિવાજીનગર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે આરોપીએ તેની કંપની થકી વાર્ષિક માત્ર સાત ટકા વ્યાજ દરે પચીસ કરોડ રૂપિયાની લોનની વ્યવસ્થા કરી આપવાનું વચન આપ્યું હતું અને 4 ઑગસ્ટ, 2017ના રોજ બિલ્ડરની કંપની સાથે કરાર કરાયા હતા. કરાર અનુસાર બિલ્ડરે 2.5 કરોડ રૂપિયા પર 10 ટકા સેવા શુલ્ક ચૂકવવાનું હતું.

ઑગસ્ટ, 2017 અને જાન્યુઆરી, 2019 દરમિયાન બિલ્ડરે આરોપીની કંપનીના બૅંક ખાતામાં ત્રણ હપ્તામાં 2.7 કરોડ રૂપિયા જમા કરાવ્યા હતા.

આ પણ વાંચો: ડોંબિવલીમાં 73 વર્ષની વૃદ્ધા સાથે લગ્નની લાલચે 62 વર્ષના વૃદ્ધે કરી 57 લાખની ઠગાઇ

જોકે આરોપીએ બિલ્ડરને લોન અપાવી નહોતી અને બાદમાં તે એક યા બીજું બહાનું કરીને વિલંબ કરવા લાગ્યો હતો. પોતે છેતરાયો હોવાનું ધ્યાનમાં આવતાં બિલ્ડરે શુક્રવારે શિવાજીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આ ફરિયાદને આધારે પોલીસે આરોપી વિરુદ્ધ ભારતીય દંડસંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. ફરિયાદમાં જણાવાયું હતું કે આરોપીએ લોન એજન્ટ તરીકે પોતાની ઓળખ આપી હતી અને વેપાર વિસ્તરણ માટે લોનને નામે ઠગાઇ કરી હતી. (પીટીઆઇ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button