મનોરીમાં દરિયાના ખારા પાણીને મીઠા બનાવવા ત્રીજી વખત ટેન્ડર બહાર

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પશ્ર્ચિમ ઉપનગરમાં મનોરી ગામમાં ૧૨ હેકટરના પ્લોટ પર ડિસેલિનેશન પ્લાન્ટ (ખારા પાણીને મીઠું કરવાનો) માટે અગાઉ બહાર પાડેલા ટેન્ડર માટે કોઈ કૉન્ટ્રેક્ટર આગળ નહીં આવતા આ પ્રોેજેક્ટ માટે ત્રીજી વખત ટેન્ડર બહાર પાડવાની નામોશી પાલિકાને માથે આવી છે.
મનોરીમાં ઊભા કરવામાં આવનારા ડિસેલિનેશન પ્લાન્ટનો ઉદ્દેશ્ય દૈનિક ૨૦૦ મિલ્યન લિટર પાણી પૂરું પાડવાનો છે, જેમા ભવિષ્યમાં તેની ક્ષમતા ૪૦૦ એમએલડી સુધી વધારવાની જોગવાઈ છે. આ પ્રોજેક્ટ લગભગ ૩,૫૨૦ કરોડ રૂપિયાના ખર્ચે ચાર વર્ષમાં પૂરો કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
ડિસેમ્બર, ૨૦૨૩થી આ કામ માટેની બિડિંગની સમયમર્યાદા અનેક વખત લંબાવવામાં આવી હોવા છતાં ૨૯ ઑગસ્ટ, ૨૦૨૪ની અંતિમ સમયમર્યાદા સુધીમાં પ્રોજેક્ટ માટે ફક્ત એક જ બિડ મળી હતી, તેને કારણે પાલિકાએ ટેન્ડર પ્રક્રિયા રદ કરી હતી અને ગાર્ગઈ ડેમ પ્રોજેક્ટ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. આ દરમ્યાન ભવિષ્યમાં બિડને વધુ વ્યવહારું તથા આકર્ષક બનાવવા માટે પાલિકાએ ટેન્ડરની શરતોમાં સુધારો કર્યો હતો અને બુધવારે નવી બિડ બહાર પાડી હતી, જેમાં ૨૬ જૂનની સબમિશનની અંતિમ તારીખ છે.
ગાર્ગઈ બંધને પૂરો થવાનો અનેક વર્ષો લાગવાના છે જયારે મુંબઈની વસતી ૨૦૪૧ની સાલ સુધીમાં બે કરોડની નજીક પહોંચવાની ધારણા છે, જેને કારણે પાણીની માગણી પ્રતિ દિનની ૬,૪૨૬ મિલ્યન લિટરની થઈ જશે. આ જરૂરિયાતને પહોંચી વળવા માટે બોલી વધુને વધુ લોકોને આર્કષવા માટે ટેન્ડરની શરતોમાં સુધારો કર્યો હોવાનું પાલિકાના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું. પસંદ કરવામાં આવેલો કૉન્ટ્રેક્ટર ૨૦ વર્ષ સુધી પ્લાન્ટના સંચાલન અને જાળવણી માટે પણ જવાબદાર રહેશે.
મુંબઈ માટે ડિસેલિનેશન પ્લાન્ટનો વિચાર સૌ પહેલા ૨૦૦૭ની સાલમાં પ્રસ્તાવિત કરવામાં આવ્યો હતો. જોકે ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની રાજ્ય સરકારની મંજૂરીથી ૨૦૨૦ની સાલમાં પ્રોજેક્ટને વેગ મળ્યો હતો. ફેબ્રુઆરી ૨૦૨૧માં પાલિકાએ વિગતવાર આ પ્રસ્તાવને વિકસાવવા માટે એક ઈઝરાયેલી કંપનીની નિમણૂક કરી ત્યારબાદ જાન્યુઆરી ૨૦૨૨માં ડિઝાઈનની સમીક્ષા કરવામાં આવી હતી. મહારાષ્ટ્ર કોસ્ટલ ઝોન મેનજમેન્ટ ઓથોરિટીની મંજૂરી અને ડિઝાઈનનો તબક્કો પૂર્ણ થયા પછી ચાર ડિસેમ્બર, ૨૦૨૩ના રોજ પ્લાન્ટના નિર્માણ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યુંં હતું. પાલિકાએ ૨૦૨૫-૨૬ના બજેટમાં પ્રોજેકટના પ્રારંભિક ભંડોળ તરીકે ૧૦૦ કરોડ રૂપિયા ફાળવ્યા છે.
આ પણ વાંચો….નાળાસફાઈ, મીઠી નદીના કૌભાંડો માટે શ્વેતપત્રિકા કાઢો: ભાજપ