
મુંબઈ: મુંબઈ-અમદાવાદ હાઈવેથી થાણે તરફ પૂરપાટ વેગે જઈ રહેલું ટૅન્કર ક્ધટેઈનર સાથે ટકરાયા બાદ બ્રિજની સેફ્ટી રેલિંગ તોડી ખાડીમાં પડ્યું હોવાની ઘટના ભાયંદર નજીક બની હતી. આ ઘટનામાં ખાડીના પાણીમાં ડૂબી ગયેલા ટૅન્કરના ડ્રાઈવરનું મોત નીપજ્યું હતું.
પોલીસના જણાવ્યા મુજબ ઘટના સોમવારની બપોરે બની હતી. ટૅન્કર ઘોડબંદર રોડથી થાણેની દિશામાં જવાનું હતું. હાઈવે પર વર્સોવા બ્રિજ પરથી પસાર થતી વખતે ટૅન્કરને અકસ્માત નડ્યો હતો.
કહેવાય છે કે લાકડાં લઈને જતા ક્ધટેઈનર સાથે ભટકાયા પછી ટૅન્કર બ્રિજની સેફ્ટી રેલિંગ તોડી ખાડીમાં પડ્યું હતું. ઘટનામાં ક્ધટેઈનરને પણ નુકસાન થયું હતું. જોકે અકસ્માત કઈ રીતે થયો તેની તપાસ પોલીસ કરી રહી છે.
દરમિયાન ટૅન્કર સાથે ડ્રાઈવર પર ખાડીના પાણીમાં પડ્યો હોવાની માહિતી મળતાં પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જૉઈન્ટ સર્ચ ઑપરેશન હાથ ધરી પોલીસે પાણીમાં ડૂબી ગયેલા ડ્રાઈવરના મૃતદેહને બહાર કાઢ્યો હતો.
આ પણ વાંચો - ભાયંદરમાં સગીર વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ: ટ્યૂશન ટીચરની ધરપકડ…
ટ્રાફિક પોલીસે હેવી ક્રેનની મદદથી ટૅન્કરને પણ ખાડીમાંથી બહાર કાઢ્યું હતું. ઘટનાને પગલે જૂના વર્સોવા બ્રિજ પરના વાહનવ્યવહારને અસર થઈ હતી. કલાકો સુધી ટ્રાફિક જૅમ રહ્યો હતો. આ પ્રકરણે વધુ તપાસ ચાલી રહી હોવાનું પોલીસનું કહેવું છે. (પીટીઆઈ)