આમચી મુંબઈ

સર્વપક્ષી પ્રતિનિધિમંડળો પાછા ફર્યા પછી સંસદનું ખાસ સત્ર બોલાવવાની માગણી માટે કોંગ્રેસને વિનંતી કરી હતી: સુપ્રિયા સુળે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
એનસીપી (એસપી)ના નેતા સુપ્રિયા સુળેએ ગુરુવારે જણાવ્યું હતું કે તેમણે કોંગ્રેસને એવી વિનંતી કરી હતી કે વિપક્ષી ઈન્ડી ગઠબંધન દ્વારા સંસદનું ખાસ સત્ર બોલાવવાની માગણી કરવા પહેલાં સર્વપક્ષી પ્રતિનિધિમંડળો વિદેશથી પાછા ન આવે ત્યાં સુધી રાહ જોવી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં કોંગ્રેસ સહિત 16 વિપક્ષોએ પહલગામ આતંકવાદી હુમલો, ઓપરેશન સિંદૂર અને ત્યારબાદના ઘટનાક્રમ પર ચર્ચા કરવા માટે સંસદનું ખાસ સત્ર બોલાવવાની માગણી કરી છે.

આપણ વાંચો: ‘આતંકવાદ સામેની લડાઈમાં અમે દેશની સાથે છીએ’: સુપ્રિયા સુળે

કતાર, ઇથોપિયા, ઇજિપ્ત અને દક્ષિણ આફ્રિકાના બહુપક્ષી પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરીને પરત ફરેલા સુળેએ પત્રકારોને જણાવ્યું હતું કે તેઓ ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે પ્રવાસ પર હોવાથી પત્ર પર સહી કરી શક્યા નહોતા.

મારા પક્ષનું વલણ એવું હતું કે જ્યારે ‘ઓપરેશન સિંદૂર’ હજુ પણ ચાલુ હતું ત્યારે ચર્ચાની કોઈ જરૂર નથી. પવાર સાહેબ હંમેશા કહેતા હતા કે વિદેશી બાબતો અને રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દાઓ પર વ્યક્તિએ તે સમયની સરકારને સાથ આપવો જોઈએ, એમ તેમણે જણાવ્યું હતું.

આપણ વાંચો: સુપ્રિયા સુળેએ ભાઈ અજિત પવારના મંત્રાલયમાં ફરિયાદ કરી, મામલો પહોંચ્યો દેવેન્દ્ર ફડણવીસ પાસે

મહારાષ્ટ્રના પુણે જિલ્લાના બારામતીના સાંસદે જણાવ્યું હતું કે ઈન્ડી ગઠબંધન તરફથી પત્ર પ્રતિનિધિમંડળો પરત ફર્યા પછી સબમિટ કરવામાં આવી શકતો હતો. શરદ પવારની આગેવાની હેઠળની એનસીપી (એસપી) ઈન્ડી ગઠબંધન નો એક ઘટક છે.

‘હું વિદેશમાં મારા દેશનો દૃષ્ટિકોણ રજૂ કરતી વખતે સંસદનું ખાસ સત્ર અને ચર્ચાની માગણી ન કરી શકું. મેં તેમને કહ્યું હતું કે સંસદનું ચોમાસુ સત્ર શરૂ થાય ત્યારે અમે પહલગામ હુમલા અને ઓપરેશન સિંદૂર અંગે સરકારને પ્રશ્ર્ન કરીશું,’ એમ તેમણે મુંબઈમાં જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button