બંધારણની પ્રસ્તાવનામાં સુધારાના આરએસએસના આહ્વાનને સુપ્રિયા સુળેએ ફગાવી દીધું…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: એનસીપી (એસપી) કાર્યકારી અધ્યક્ષ સુપ્રિયા સુળેએ શનિવારે ભારતીય બંધારણને વ્યાપક ચર્ચાનું પરિણામ ગણાવતાં ભારપૂર્વક જણાવ્યું હતું કે કોઈને પણ તેમાં ફેરફાર કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. બારામતીના લોકસભા સાંસદ નાગપુરમાં એક પત્રકાર પરિષદને સંબોધી રહ્યા હતા.
આરએસએસના મહાસચિવ દત્તાત્રેય હોસબલે દ્વારા બંધારણની પ્રસ્તાવનામાં ‘સમાજવાદી’ અને ‘ધર્મનિરપેક્ષ’ શબ્દોની સમીક્ષા કરવાની તાજેતરની અપીલ અંગે બોલતાં સુળેએ કહ્યું હતું કે લોકશાહીમાં, દરેકને બોલવાનો અધિકાર છે.
‘તેમણે જે અનુભવ્યું તે કહ્યું છે,’ એમ સુળેએ કહ્યું હતું.
કટોકટીના પચાસ વર્ષ નિમિત્તે આયોજિત એક કાર્યક્રમને સંબોધતા, હોસબલેએ કહ્યું હતું કે, ‘બંધારણની પ્રસ્તાવનામાં ક્યારેય આ શબ્દો (સમાજવાદી અને ધર્મનિરપેક્ષ) નહોતા. કટોકટી દરમિયાન, જ્યારે મૂળભૂત અધિકારોને સ્થગિત કરવામાં આવ્યા, સંસદ કામ કરી શકી નહીં, ન્યાયતંત્ર પાંગળું બની ગયું, પછી આ શબ્દો ઉમેરવામાં આવ્યા હતા.
સુળેએ કહ્યું હતું કે આવા વિવાદો તેમને ભાજપના ભૂતપૂર્વ નેતા સ્વર્ગસ્થ અરુણ જેટલીની યાદ અપાવે છે, જેઓ કહેતા હતા કે જો ‘તમે (મીડિયા)’ આ ઘટનાઓને પ્રસિદ્ધિ આપવાનું બંધ કરી દો, તો લોકો તેમના વિશે વાત નહીં કરે. બંધારણ ઘણી ચર્ચા અને વિચાર-વિમર્શનું પરિણામ છે. અમે આ દેશમાં કોઈને પણ બંધારણ બદલવા દઈશું નહીં,’ એમ તેમણે જણાવ્યું હતું.
આપણ વાંચો : NCPના વિલીનીકરણની અટકળો પર અજિત પવાર-સુપ્રિયા સુળેની સ્પષ્ટતા; જાણો શું કહ્યું