વિદ્યાર્થીઓને સ્કૂલમાં જ એસટી બસ પાસ મળશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્યના વિવિધ ભાગોમાં શાળાઓ અને કોલેજોમાં અભ્યાસ કરતા લાખો વિદ્યાર્થીઓને સીધા તેમની શાળાઓમાં એસટી પાસનું વિતરણ કરવામાં આવશે, એવો આદેશ પરિવહન પ્રધાન અને એસટી નિગમના અધ્યક્ષ પ્રતાપ સરનાઇકે સ્થાનિક એસટી વહીવટીતંત્રને આપ્યો છે.
નવા શૈક્ષણિક વર્ષની પ્રથમ સેમિસ્ટર માટે શાળાઓ 16 જૂનથી શરૂ થઈ રહી છે. સરકારે એસટી દ્વારા વિદ્યાર્થીઓને ઘરેથી શાળાએ જવા માટે 66.66 ટકા ડિસ્કાઉન્ટ આપ્યું છે, જેનો અર્થ એ છે કે વિદ્યાર્થીઓ ફક્ત 33.33 ટકા ચૂકવીને માસિક એસટી બસ પાસ મેળવી શકે છે. તેવી જ રીતે, સરકારની પુણ્યશ્લોક અહિલ્યાબાઈ હોલકર યોજના હેઠળ 12મા ધોરણ સુધી અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને મફત એસટી પાસનું વિતરણ કરવામાં આવે છે.
આ માટે, વિદ્યાર્થીઓએ એસટી નિગમના પાસ સેન્ટર પર જઈને પાસ મેળવવા માટે લાઇનમાં ઊભા રહેવું પડતું હતું. અથવા તેઓ જૂથોમાં ડેપોમાં જતા હતા અને ડેપો મેનેજમેન્ટ પાસેથી પાસ મેળવતા હતા. હવે વિદ્યાર્થીઓને પાસ માટે કતારોમાં ઊભા રહેવું પડશે નહીં. તેમની શાળાઓ અને કોલેજો દ્વારા આપવામાં આવેલી યાદી મુજબ, એસટી કર્મચારીઓ તેમના એસટી પાસ સીધા શાળામાં વિદ્યાર્થીઓને આપશે. જેથી તેમનો શૈક્ષણિક સમય બગડે નહીં.
આ પણ વાંચો - મહિલા સાથે છેતરપિંડી અને ધમકી આપવા પ્રકરણે દિલ્હીના યુટ્યૂબરની ધરપકડ
આ સંદર્ભે 16 જૂનથી એસટી વહીવટીતંત્ર સીધા તમારી શાળામાં એસટી પાસનું એક ખાસ અભિયાન ચલાવી રહ્યું છે. અગાઉ એસટી ડેપો મેનેજરોએ તમામ શાળાઓ અને કોલેજોના મુખ્ય શિક્ષકો અને આચાર્યોને પત્ર લખીને નવા વર્ષમાં તેમની શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની યાદી તૈયાર રાખવા જણાવ્યું છે.
આ નવી યોજનાથી રાજ્યમાં અભ્યાસ કરતા લાખો વિદ્યાર્થીઓને ફાયદો થશે.