સ્માર્ટ બસ: ડ્રાઈવરની સુરક્ષાથી મુસાફરોની ગણતરી સુધી AI ટેકનોલોજીનો વપરાશ
ડ્રાઇવર દારૂ પીધા પછી બસ ચલાવે અથવા ઝોકું આવે તો તરત જાણકારી મળશે

મુંબઈઃ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) આધારિત સ્માર્ટ એસટી બસો ટૂંક સમયમાં રાજ્ય પરિવહન નિગમ દ્વારા શરૂ કરવામાં આવશે. આ બસોમાં મોબાઇલ જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમ, એલસીડી સ્ક્રીન અને પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ સહિત અન્ય અત્યાધુનિક સુવિધાઓ હશે.
જો ડ્રાઇવર દારૂ પીધા પછી બસ ચલાવવાનો પ્રયાસ કરશે અથવા ડ્રાઈવરને ઝોકું આવશે તો તરત જ જાણકારી મળી જશે. એકંદરે મુસાફરો માટે એસટી બસમાં મુસાફરી સુરક્ષિત બનશે.
આપણ વાંચો: 15 વર્ષ પછી મહારાષ્ટ્રમાં ફરી એસટી બસો થશે ૩-૨ સીટવાળી
સ્ટેટ ટ્રાન્સપોર્ટ સર્વિસની બસોની સ્થિતિ સારી ન હોવાથી અનેક વાર ડ્રાઇવરો, કંડકટરો અને મુસાફરો વચ્ચે વિવાદના ઘણા બનાવો બનતા હોય છે. કેટલીકવાર ડ્રાઇવરની ભૂલને કારણે અકસ્માતો થયા હોવાના પણ દાખલા છે. આગના બનાવો પણ બન્યા હતા. સરવાળે મુસાફરો અસલામતી અનુભવે છે.
પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઇકે તાજેતરમાં મુસાફરોની સલામતી માટે સ્માર્ટ બસોની જાહેરાત કરી હતી. આજે થાણેમાં નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની હાજરીમાં બસમાં એઆઈ સિસ્ટમ દર્શાવવામાં આવી હતી. આ પ્રસંગે પરિવહન પ્રધાન પ્રતાપ સરનાઇક અને એસટી નિગમના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આપણ વાંચો: તહેવારની સિઝન જામી; ગુજરાત એસટી બસોના એડવાન્સ ટિકિટ બુકિંગ માટે મુસાફરોનો ધસારો
બસની વિશેષતા એ છે કે તેમાં દેખરેખ માટે ડ્રાઇવર આસિસ્ટન્સ સિસ્ટમ અને કેમેરા બેસાડવામાં આવ્યા છે. ડ્રાઈવરને સામેથી ટક્કરની ચેતવણી બસ રૂટ પર ચેનલ બદલવાની સૂચના અને ડ્રાઈવરની સ્થિતિ પર નજર રાખવા જેવી માહિતી મળશે. બસમાં પૂરા 360 ડિગ્રી રોટેટિંગ કેમેરા હશે.
પ્રવાસીઓ માટે અંદરના ભાગમાં બે કેમેરા ઉપલબ્ધ હશે. બસમાં કેટલા મુસાફરો મુસાફરી કરી રહ્યા છે તેની ગણતરી કરવા માટે પેસેન્જર કાઉન્ટિંગ સેન્સર પણ ઉપલબ્ધ રહેશે. બસમાં સૂચના આપવા માટે એનાઉન્સમેન્ટની વ્યવસ્થા ગોઠવવામાં આવશે.