આમચી મુંબઈટોપ ન્યૂઝ

બેલાસિસ ફ્લાયઓવર વર્ષના અંતે, સાયનનો પુલ મે, ૨૦૨૬ સુધીમાં ખુલ્લા મુકાશે…

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ
: વિક્રોલી બ્રિજ ૧૪ જૂનના ખુલ્લો મુકાયા બાદ હવે કર્ણાક બ્રિજ ગમે તે ઘડીએ ખુલ્લો મુકાવાની શક્યતા વચ્ચે શહેરના અન્ય બે મહત્ત્વના બ્રિજનું કામ સમયસર પૂરું કરવામાં આવશે એવો દાવો પાલિકા પ્રશાસને કર્યો છે, જેમાં મુંબઈ સેન્ટ્રલના બેલાસિસ બ્રિજની નક્કી કરેલી ડેડલાઈન કરતા લગભગ પાંચ મહિના પહેલા કામ પૂરું કરીને તેને ડિસેમ્બર, ૨૦૨૫ સુધીમાં ખુલ્લો મૂકવાની યોજના છે. તો સાયન બ્રિજ માટે ૩૧ મે, ૨૦૨૬ની ડેડલાઈન રાખવામાં આવી હોવાનું પાલિકા પ્રશાસને જણાવ્યું હતું.

તાજેતરમાં પાલિકા, ટ્રાફિક પોલીસ અને રેલવે ડિપાર્ટમેન્ટની એક સંયુક્ત બેઠક યોજાઈ હતી, જેમાં સાયન અને બેલાસિસ બ્રિજનું કામ ઝડપથી અને તેની નક્કી કરેલી ડેડલાઈનમાં પૂરું કરવા બાબતે સહમતી સધાઈ હતી. પાલિકાના એડિશનલ કમિશનર અભિજિતિ બાંગરે રેલવે પ્રશાસન સાથે સમન્વય સાધીને ૩૧ મે, ૨૦૨૬ સુધીમાં સાયન ફ્લાયઓવર અને ૧૫ ડિસેમ્બર, ૨૦૨૫ સુધીમાં બેલાસિસ ફલાયઓવરનું કામ પૂરું કરવાની ડેડડલાઈન રાખવાનો નિર્દેશ આપ્યો હતો. સાયન પૂર્વ અને પશ્ર્ચિમને જોડનારો સાયન બ્રિજ અને તાડદેવથી નાગપાડા અને મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનને જોડનારા બેલાસિસ બ્રિજ આ બંને રેલવે ઓવર બ્રિજને ફરી બાંધવાનું કામ પાલિકાએ હાથ ધર્યું છે.

એડિશનલ કમિશનર (પ્રોેજેક્ટ) અભિજિત બાંગરે જણાવ્યું હતું કે સાયન બ્રિજના દક્ષિણ બાજુએ ફૂટઓવર બ્રિજનું કામ રેલવે તરફથી ચાલી રહ્યું હોઈ તે ૩૧ ઑગસ્ટ, ૨૦૨૫ સુધીમાં પૂરું કરવામાં આવશે ત્યારબાદ ૩૧ ઑગસ્ટ, ૨૦૨૫થી મુખ્ય બ્રિજના દક્ષિણ તરફના ભાગને તોડવાનું ચાલુ કરવામાં આવશે. એ જ સમયે બ્રિજના નીચે રહેલી જૂના બ્રિજની દીવાલને તોડવાનું પણ ચાલુ કરવામાં આવશે.

અભિજિત બાંગરે વધુમાં જણાવ્યું હતું કે નવેમ્બર મહિનામાં ઉત્તર ભાગનો તો જાન્યુઆરીમાં દક્ષિણ ભાગના ગર્ડર લોન્ચ કરવામાં આવશે ત્યારબાદ રેલવે હદના અન્ય કામ કરવામાં આવશે. અપ્રોચ રોડમાંથી પશ્ર્ચિમ તરફનો એપ્રોચ રોડ વધુ મહત્ત્વનો અને ક્રિટીકલ છે, તેમાં લાલબહાદુર શાસ્ત્રી માર્ગ (એલબીએસ રોડ)નો પબ્લિક અંડર પાસ પૂરો થવાની તૈયારીમાં છે. પહેલી ઓક્ટોબર, ૨૦૨૫થી બીજા પબ્લિક અંડરપાસનું કામ ચાલુ કરવામાં આવશે. ધારાવી અને એલબીએસમાર્ગ તરફ જનારા એપ્રોચ રોડનું કામ માર્ચ ૨૦૨૬ સુધીમાં પૂરું કરવામાં આવશે.

રેલવે પ્રશાસન તરફથી રેલવેની હદના કામ ૧૫ મે ,૨૦૨૬ સુધી પૂરા કરીને આખા એપ્રોચ રોડને પાલિકા બનાવીને પૂરો કરી નાખશે. પૂર્વ તરફના બાકી રહેલા અપ્રોચ રોડનું કામ ૧૫માં દિવસમાં પૂરું કરીને સાયન ફ્લાયઓવર ૩૧મે, ૨૦૨૬ સુધીમાં ચાલુ કરવાનો પ્રયાસ રહેશે એવું અભિજિત બાંગરે જણાવ્યું હતું. બેલાસિસ બ્રિજ પ્રોજેક્ટની ડેડલાઈન એપ્રિલ ૨૦૨૬ની છે પણ બાંધકામ માટે નક્કી કરેલી ડેડલાઈન પહેલા તેનું કામ પૂરું કરીને ડિસેમ્બર ૨૦૨૫ના અંત સુધીમાં ખુલ્લો મૂકવાની પાલિકાની યોજના હોવાનું જણાવતા અભિજિત બાંગરે કહ્યું હતું કે આ બ્રિજના બાંધકામને આડે આવતા ૧૩ બાંધકામ હટાવીને તેમને પર્યાયી સ્થળે ઘર આપવામાં આવ્યા છે.

હાલ આ બાંધકામ હટાવવાનું કામ વોર્ડ સ્તરે ચાલી રહ્યું છે. આ બ્રિજની નજીક જ એક હાઉસિંગ સોસાયટીની બાઉન્ડ્રી વૉલને અસર થવાની છે. બાઉન્ડ્રી વૉલ હટાવીને મળનારી ખુલ્લી જગ્યા રસ્તા માટે આવશ્યક છે. આ જગ્યા ઉપલબ્ધ થવામાં વિલંબ થવાની સાથે જ રેલવેના ગર્ડર આવવા માટે નક્કી કરેલી ડેડલાઈન કરતા વધુ વિલંબ થયો હતો. હાલ લોખંડના ગર્ડર પ્રોેજેક્ટ સાઈટ પર આવી ગયા છે. ૩૬ મીટર સ્પાનનના કુલ ૧૨ ગર્ડર લોન્ચ કરવામાં આવવાના છે. રેલવે તરફથી બ્લોક મળ્યા બાદ બે રાતમાં છ-છ ગર્ડર બેસાડવામાં આવશે. ગર્ડરને અસેમ્બલ કરવાનું કામ ૧૦ ઑગસ્ટ, ૨૦૨૫ સુધીમાં પૂરું થશે ત્યારબાદ પશ્ર્ચિમ દિશામાં અપ્રોચ રોડના બાકી રહેલા એક થાંભલાનું કામ કરવામાં આવશે. ચાર સપ્ટેમ્બર, ૨૦૨૫ સુધીમાં રેલવે ભાગમાં કૉંક્રીટ નાખવા સહિતના અન્ય કામ થશે ત્યારબાદ બંને અપ્રોચ રોડનું કામ પૂરું કરીને ૧૫ ડિસેમ્બર, ૨૦૨૫ સુધીમાં પૂલનું સંપૂર્ણ કામ પૂરું કરવાનું આયોજન કરવામાં આવ્યું હોવાનું એડિશનલ કમિશનરે જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »
Back to top button