બાબા સિદ્દીકીની હત્યામાં સામેલ શુભમ લોણકરે ઘડ્યું રોહિત શેટ્ટી પર ગોળીબારનું ષડ્યંત્ર

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બાન્દ્રામાં એનસીપીના વિધાનસભ્ય બાબા સિદ્દીકીની ગોળી મારી હત્યા કરવાના ચકચારી કેસના ફરાર મુખ્ય આરોપી શુભમ લોણકરે જ ફિલ્મમેકર રોહિત શેટ્ટીના જૂહુના નિવાસસ્થાન પર ગોળીબારનું ષડ્યંત્ર ઘડ્યું હોવાની ચોંકાવનારી માહિતી આ કેસમાં પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં સામે આવી હતી.
બાબા સિદ્દીકીની હત્યા બાદથી પોલીસ શુભમ લોણકરને શોધી રહી છે, પરંતુ હજુ તે પોલીસને હાથ લાગ્યો નથી. એમાં શેટ્ટીના નિવાસસ્થાને ગોળીબાર કરનારા શૂટરને જરૂરી સાધનો પૂરાં પાડનારા પકડાયા, પણ શૂટરની કોઈ ભાળ મળી નથી.
ફિલ્મ ડિરેક્ટર રોહિત શેટ્ટીના નિવાસસ્થાન પર ગોળીબાર કરવાના કેસમાં પોલીસે પુણેથી પાંચ શકમંદને પકડી પાડ્યા હતા, જેમાંથી ચારની સંડોવણીની ખાતરી થતાં તેમની ધરપકડ કરવામાં આવી હતી.
આપણ વાચો: બોલિવૂડ ડાયરેક્ટર રોહિત શેટ્ટીના ઘર બહાર ફાયરિંગ, 4 રાઉન્ડ ગોળીબારથી સનસનાટી!
ધરપકડ કરાયેલાઓમાં સ્વપ્નિલ બંડુ સકટ (23), કૉલેજ સ્ટુડન્ટ સમર્થ શિવશરણ પોમાજી (19), સિદ્ધાર્થ દીપક યેનપુરે (19) અને આદિત્ય જ્ઞાનેશ્ર્વર ગાયકી (19)નો સમાવેશ થાય છે. ચારેયને રવિવારની રાતે સ્પેશિયલ મૅજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ હાજર કરાયા હતા. કોર્ટે તેમને પાંચમી ફેબ્રુઆરી સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી.
આ કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચની ખંડણી વિરોધી શાખાને સોંપવામાં આવી હતી. પુણેથી પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે રોહિત શેટ્ટીના નિવાસસ્થાને ગોળીબારનું ષડ્યંત્ર શુભમ લોણકરે ઘડ્યું હતું. તેણે જ કાવતરાને અંજામ આપવા માટે હસ્તકો મારફત જરૂરી સાધનો અને મદદ પૂરી પાડી હોવાનું કહેવાય છે.
ગોળીબાર બાદ શૂટર જે સ્કૂટર પર ફરાર થયો હતો તે પુણેના રહેવાસી પાસેથી 30 હજાર રૂપિયામાં ખરીદવામાં આવી હતી. સ્કૂટરની કિંમત શુભમે પહોંચાડી હતી. એ સિવાય સ્કૂટરને મુંબઈ પહોંચાડવાની સુવિધા પણ શુભમે જ કરી હતી. શુભમ કુખ્યાત ગૅન્ગસ્ટર લૉરેન્સ બિશ્ર્નોઈનો સાગરીત હોવાનું પોલીસનું કહેવું છે.
આપણ વાચો: ગોલમાલ 5માં અજય દેવગણ અને રોહિત શેટ્ટીની જોડી ફરી મચાવશે ધૂમ, નવા કલાકારની એન્ટ્રી થશે…
ઉલ્લેખનીય છે કે બોલીવૂડના સુપરસ્ટાર સલમાન ખાનના બાન્દ્રા સ્થિત ગૅલેક્સી એપાર્ટમેન્ટમાં આવેલા નિવાસસ્થાન બહાર બિશ્ર્નોઈ ગૅન્ગના સભ્યોએ ગોળીબાર કર્યો હતો. પછી બાન્દ્રા પૂર્વમાં જ એનસીપીના નેતા બાબા સિદ્દીકીની ઑક્ટોબર, 2024માં ગોળી મારી હત્યા કરવામાં આવી હતી.
ભરરસ્તે સિદ્દીકીની હત્યાથી ખળભળાટ મચી ગયો હતો. એ હત્યાની જવાબદારી બિશ્ર્નોઈ ગૅન્ગે સ્વીકારી હતી. પછીથી પોલીસે એ કેસમાં શુભમના ભાઈ પ્રવીણ લોણકર સહિત કેટલાક આરોપીની ધરપકડ કરી હતી. એ કેસમાં પોલીસ શુભમને શોધી રહી છે.
હવે રોહિત શેટ્ટીના નિવાસસ્થાને ગોળીબારના કેસમાં પણ શુભમનું નામ સામે આવતાં પોલીસે તેને ફરાર આરોપી દર્શાવ્યો છે. ફાયરિંગ પછી શુભમ લોણકર આરઝૂ બિશ્ર્નોઈના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પરથી ફેસબુક પર એક પોસ્ટ મૂકવામાં આવી હતી, જેમાં શેટ્ટીના નિવાસસ્થાને ગોળીબારની જવાબદારી બિશ્ર્નોઈ ગૅન્ગે સ્વીકારી હોવાનો ઉલ્લેખ હતો. વળી, આ પોસ્ટમાં બોલીવૂડ માટે ધમકી પણ આપવામાં આવી હતી.
પોલીસ ગોળીબાર કરનારા શૂટરના પણ સગડ મેળવી રહી છે. ગોળીબાર બાદ ફરાર શૂટર છેલ્લે વિલેપાર્લેના એક સીસીટીવી કૅમેરામાં ઝડપાયો હતો, પરંતુ પછી તે ક્યાં ગયો તેની કોઈ કડી હાથ લાગી નહોતી, એવો દાવો અધિકારીએ કર્યો હતો.
જોકે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર શૂટર જૂહુ ચર્ચ નજીક સ્કૂટર છોડીને રિક્ષામાં ચોપાટી ગયો હતો. ત્યાંથી સ્ટેશને પહોંચીને પછી કલ્યાણ ગયો હતો. કલ્યાણથી તે ટ્રેન પકડી પુણેની દિશામાં ગયો હોવાનું કહેવાય છે.


