શિવસેનાના નેતાની અપહરણ બાદ હત્યા: બીજો મુખ્ય આરોપી પકડાયો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શિવસેનાના નેતા અશોક રમણ ધોડીની અપહરણ બાદ હત્યા કરી મૃતદેહ કાર સાથે ગુજરાતના ઉમરગામમાં પાણી ભરેલા ખાડામાં ફેંકી દેવાના કેસમાં પાલઘર ક્રાઈમ બ્રાન્ચે બીજા મુખ્ય આરોપીની ધરપકડ કરી હતી.
લોકલ ક્રાઈમ બ્રાન્ચના ઇન્ચાર્જ ઈન્સ્પેક્ટર પ્રદીપ પાટીલની ટીમે ગુરુવારે મનોજ ભંવરસિંહ રાજપૂત (34)ની થાણે જિલ્લાના શાહપુર ખાતેથી ધરપકડ કરી હતી. અશોકની હત્યા બાદ રાજપૂત છેલ્લા પાંચ મહિનાથી ફરાર હતો અને પોલીસ તેની શોધ ચલાવી રહી હતી.
આ કેસના મુખ્ય આરોપી અને મૃતક અશોકના મોટા ભાઈ અવિનાશ ધોડી (60)ને ક્રાઈમ બ્રાન્ચે રવિવારે વાપી નજીકના સિલ્વાસા ખાતેથી પકડી પાડ્યો હતો. અવિનાશે જમીન વિવાદને લઈ ઘોલવડમાં તલાસરી નજીક વેવજી કાટીલ પાડામાં રહેતા અશોકની હત્યાનું કાવતરું ઘડ્યું હતું, એવું તપાસમાં જણાયું હતું.
આ પણ વાંચો: ઘોલવડમાં શિવસેનાના નેતાની અપહરણ બાદ કરી હત્યા: ફરાર ભાઇની સિલ્વાસાથી ધરપકડ
અવિનાશની પૂછપરછમાં પોલીસને મનોજ રાજપૂતની માહિતી મળી હોવાનું કહેવાય છે. રાજસ્થાનના પાલી જિલ્લાનો વતની રાજપૂત છેલ્લાં કેટલાંક વર્ષથી ઉમરગામમાં રહેતો હતો. ગેરકાયદે દારૂની હેરફેરના વ્યવસાયમાં તે આરોપી અવિનાશનો ભાગીદાર હતો. અશોકના અપહરણથી માંડી હત્યા અને મૃતદેહ ઠેકાણે પાડવામાં રાજપૂત અવિનાશ સાથે જ હતો, એવું પોલીસ તપાસમાં જણાયું હતું.
જાન્યુઆરીના છેલ્લા સપ્તાહમાં અશોક દહાણુથી કારમાં તેના ઘરે જઈ રહ્યો હતો ત્યારે આરોપીઓએ વેવજી ઘાટ ડુંગરના વળાંક પાસે તેને આંતર્યો હતો. ધાકધમકીથી અશોકનું તેની જ કારમાં અપહરણ કરવામાં આવ્યું હતું. બાદમાં હત્યા બાદ અશોકના મૃતદેહ સાથે કારને પાણી ભરેલા ખાડામાં ધકેલી દેવામાં આવી હતી. રાજપૂતના પકડાવાથી આ કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓની સંખ્યા સાત પર પહોંચી હતી.