સેના (યુબીટી)એ ‘તિરંગા યાત્રા’ માટે ભાજપની ટીકા કરી; પાકિસ્તાન સામે બદલો અધૂરો રાખ્યો | મુંબઈ સમાચાર

સેના (યુબીટી)એ ‘તિરંગા યાત્રા’ માટે ભાજપની ટીકા કરી; પાકિસ્તાન સામે બદલો અધૂરો રાખ્યો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
શિવસેના (યુબીટી)એ બુધવારે ભારતના ઓપરેશન સિંદૂરની સફળતા નિમિત્તે કાઢવામાં આવેલી ‘તિરંગા યાત્રા’ પર સત્તાધારી ભાજપ પર નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે પાકિસ્તાન સામે દેશનો બદલો અધૂરો રહ્યો છે.

11 દિવસની રાષ્ટ્રવ્યાપી ‘તિરંગા યાત્રા’માં કેન્દ્રીય પ્રધાનો અમિત શાહ, રાજનાથ સિંહ અને જે પી નડ્ડા, જે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ છે, સહિતના ટોચના ભાજપના નેતાઓએ રવિવારે આ મુદ્દા પર ચર્ચા કર્યા બાદ શરૂ કરવામાં આવી હતી.

આપણ વાંચો: શિવસેના (યુબીટી)ના મૃત નેતાની પત્ની તેજસ્વીએ પાર્ટી પદ છોડ્યું…

‘ભારતે પાકિસ્તાનને પાઠ ભણાવ્યો નહીં. તેના બદલે તેણે (અમેરિકન રાષ્ટ્રપતિ) ડોનાલ્ડ ટ્રમ્પ સમક્ષ આત્મસમર્પણ કર્યું,’ એમ સેના (યુબીટી)ના મુખપત્ર ‘સામના’ના તંત્રીલેખમાં કહેવામાં આવ્યું હતું.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઓપરેશન સિંદૂર પૂર્ણ થાય તે પહેલાં ભારતને યુદ્ધમાંથી ખસી જવાની ધમકી આપી હતી. જ્યારે પાકિસ્તાનને હારનો સામનો કરવો પડશે તે લગભગ નિશ્ર્ચિત હતું, ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘વ્યાપારી લોભ’ માટે ટ્રમ્પની ધમકીને સ્વીકારી અને યુદ્ધ બંધ કર્યું, એવો દાવો ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની પાર્ટીએ કર્યો હતો.

વિરોધ પક્ષે કહ્યું કે પહલગામનો બદલો લીધા પહેલાં યાત્રા કાઢીને રાજકારણ રમવું એ ભાજપનો દંભ છે, આતંકવાદીઓએ 26 લોકોની હત્યા કરી હતી, તેનો સંપૂર્ણ બદલો હજી બાકી છે.

Back to top button